મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં ૧૦% રિબેટ આપવામાં આવી રહી છે. તા.૧ એપ્રિલથી ૧૨ જૂન દરમિયાન રૂ.૧૦ હજારથી ૫૦ હજાર સુધીની બાકીદારી ધરાવતા ૩૭૫૦ મિલકતધારકો સામે વોરંટ બજવણી કરવામાં આવી છે. હાલમાં ૧૧ મિલકતો સીલ કરવામાં આવી હતી જેમાંથી મિલકતધારકોએ તુરંત ચુકવણી કરતા, સીલ ખોલવામાં આવ્યા છે, જ્યારે બાકી મિલકતોની હરાજી કરી બાકી વેરા રકમ વસુલાશે. આ સાથે મનપા દ્વારા નાગરિકોને સમયસર વેરો ભરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા માટે શહેરવાસીઓને ૧૦% રિબેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે તા. ૦૧ એપ્રિલ ૨૦૨૫ થી ૧૨ જૂન ૨૦૨૫ સુધીમાં આ રિબેટનો લાભ લઈ શકે છે. છતાં, ઘણા મિલકતધારકો દ્વારા સમયસર વેરાની ચુકવણી ન થતાં, મહાનગરપાલિકાની ટેક્સ શાખાએ અસરકારક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ટેક્સ શાખાના જણાવ્યા અનુસાર રૂ.૧૦ હજારથી ૫૦ હજાર સુધીની બાકી રકમ ધરાવતાં કુલ ૩૭૫૦ મિલકતધારકોને વોરંટ બજાવવામાં આવ્યાં છે. આ પગલાં હેઠળ અત્યાર સુધીમાં ૧૧ મિલકતો સીલ કરવામાં આવી હતી. જેમાંથી ૭ મિલકતધારકો દ્વારા બાકી વેરાની ચુકવણી કર્યા પછી તેમની મિલકતોના સીલ હટાવાયા છે. જ્યારે બાકી રહેલી મિલકતોને ટૂંક સમયમાં હરાજીથી વેચીને બાકી રકમ વસૂલ કરાશે.
ટેક્સ શાખાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ના બાકી વેરા માટે વર્ષ ૨૦૨૫-૨૬માં પણ કાર્યરત કામગીરી ચાલુ રહેશે. જે મિલકતધારકો એપ્રિલ, મે અને જૂન સુધીમાં બાકીદારી ભરપાઈ નહીં કરે, તેમની મિલકતો ટાંચમાં લેવામાં આવશે અથવા જપ્ત કરવામાં આવશે. આ સાથે શહેરવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સમયસર અને સહેલાઈથી ઓનલાઇન www.enagar.gujarat.gov.in વેબસાઇટ પર અથવા મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, સિવિક સેન્ટર(રેલવે સ્ટેશન પાસે) ખાતે ટેક્સ ભરી શકે છે.