કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા રૂ.૧૨૦૭ કરોડથી વધુના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી માર્ગ વ્યવસ્થા સુધરશે, ટ્રાફિકમાં રાહત મળશે અને પ્રદેશના આર્થિક વિકાસને ગતિ મળશે.
ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે-૪૧ (નલીયા – નારાયણ સરોવર) તથા નેશનલ હાઇવે-૯૨૭સી (ચિત્રોડ – રાપર – બાલાસર) માર્ગોને પેવ્ડ શોલ્ડર સાથે ૨-લેનમાં અપગ્રેડ કરવા માટે કુલ રૂ. ૧૨૦૭ કરોડ ૪૫ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. જેમાં એનએચ-૪૧ માટે રૂ. ૫૦૮ કરોડ ૬૭ લાખ અને એનએચ-૯૨૭સી માટે રૂ. ૬૯૮ કરોડ ૭૮ લાખના ખર્ચનો સમાવેશ થાય છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી કચ્છ પ્રદેશમાં પરિવહન સુવિધાઓ સુધરશે, માર્ગ સલામતીમાં વધારો થશે અને ખનિજ, મીઠા ઉદ્યોગ તેમજ પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. હાલ સિંગલ લેન માર્ગને કારણે થતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાઓમાં ઘટાડો થશે તેમજ વાહન સંચાલન ખર્ચમાં પણ ઘટાડો થશે. આ સાથે પ્રદેશના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે.









