મોરબી: આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ મોરબી જીલ્લા ભાજપ દ્વારા ‘શ્રી કમલમ’ કાર્યાલયે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને કાર્યકરોને સક્રિય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપના જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જીલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સહિત અગ્રણી નેતાઓ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન જીલ્લાની તમામ નગરપાલિકા અને પંચાયત બેઠકો પર સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, આગામી સમયમાં વિવિધ સ્તરે કાર્યકર સંમેલનો યોજી જવાબદારીઓની વહેંચણી કરવામાં આવશે અને ‘પેજ સમિતિ’થી લઈને ‘બૂથ સ્તર’ સુધી કાર્યકરોને સક્રિય બનવા આહવાન કરવામાં આવ્યું હતું.









