મોરબી પંથકમાં ફરી દાદાનું બુલડોઝર ફર્યું છે. અને એક જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત ગેર કાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા ગુન્હાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના હિસ્ટ્રીશીટર પર પોલીસે બુલડોઝર ફેરવી ગેર કાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. તો ગ્રામ્ય મામલતદાર દ્વારા ત્રાજપર ચોકડી નજીક ડિમોલેશન કરી ૧૬ જેટલા કોમર્શિયલ બાંધકામ તોડી ચાર કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
મોરબી મહાપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં ‘વન વિક વન રોડ’ અભિયાન અંતર્ગત દર અઠવાડિયના બુધવારે એક રોડ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ ભક્તિનગર સર્કલથી શનાળા ગામ સુધી આવતા ઓટલા, છાપરા સહિતના દબાણો તેમજ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હજુ આગામી સમયમાં પણ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રહેશે તેમ મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા જણાવવામાં આવ્યું છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી વારંવાર ગુનાઓ આચરવાની ટેવ ધરાવતા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જે અનુસાર પોલીસ દ્વારા એક બાદ એક અસામાજિક તત્વો વિરુદ્ધ તવાઈ બોલાવી તેમના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ મોરબીના રીઢા બુટલેગર અનવર હાજી માલાણીના ગેરકાયદેસર મકાનને તોડી પડાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનવર હાજી માલાણી તેની પત્ની ઝરીના અને પુત્ર વસીમ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૫૬ જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં અનવર વિરુદ્ધ ૩૩ તેની પત્ની ઝરીના વિરુદ્ધ ૧૮ અને તેના પુત્ર વસીમ વિરુદ્ધ ૫ ગુના નોંધાયેલા છે. ત્યારે મામલદાર સહિતની ટીમોને સાથે રાખી મોરબી સિટી બી ડિવિઝન પોલીસે હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર મકાનનું દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી.
તેમજ ગ્રામ્ય મામલતદાર દ્વારા મોરબીના ત્રાજપર ચોકડી પાસે જુના ઘુંટુ રોડ જવાના રસ્તે ત્રાજપર ગામના સર્વે નં.૬૪ પૈકી અને સર્વે નં.૫ ની સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને ગ્રામ્ય મામલતદાર એમ.ટી. ધનવાણીની ટિમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે સર્વે નં. ૬૪ પૈકીમાં આવેલ ગેરેજ, પતરાવાળી બંધ ઓરડી, શાકભાજીની દુકાન તેમજ સર્વે નં. ૫ માં આવેલ ૧૪ વાણિજ્ય દુકાનો જે ૧૮૬૦ ચો.મી. વિસ્તારમા ડીમોલેશનની કામગીરી હાથ ધરી ૧૬ જેટલાં કોમર્શિયલ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આમ, અંદાજે કુલ રૂ. ૪ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.