મચ્છુ-૨ ડેમ પાસે આવેલ ગૌશાળા ખાતે અંદાજિત દસ લાખ જેટલા વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે.
મોરબી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૭ સપ્ટેમ્બરે મોરબી જીલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત સંદર્ભે વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત કરતા જીલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીના ૧૭ સપ્ટેમ્બરે મોરબી જીલ્લા ખાતે પધારનાર છે. તેમના સંભવિત કાર્યક્રમ અનુસાર તેઓ મચ્છુ-૨ ડેમ નજીક આવેલ ગૌશાળા ખાતે અંદાજિત દસ લાખ જેટલા વૃક્ષો વાવી તૈયાર કરવામાં આવેલ વનનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ઉપરાંત તેઓ આ વનની મુલાકાત પણ લેનાર છે. આ બેઠકમાં તથા સ્થળ મુલાકાત દરમિયાન જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ, સામાજિક વનીકરણ રાજકોટ રેન્જના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, જીલ્લા પુરવઠા અધિકારી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને ઈલેક્ટ્રીકના કાર્યપાલક ઈજનેરો તથા સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.