રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રજાકલ્યાણ અને પ્રજાલક્ષી કામગીરીના ભાગરૂપે વાંકાનેર પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. વાંકાનેર પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગુમ થયેલ તથા ચોરાયેલ કુલ ૨૨ મોબાઇલ અરજદારોને પરત કર્યા છે.
મળતી માહિતી અનુસાર, “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે CEIR પોર્ટલના ઉપયોગથી ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવાની કામગીરી કરી છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સતત મોનીટરીંગ દ્વારા આશરે રૂ. ૩,૭૨,૧૨૮ કિંમતના કુલ ૨૨ મોબાઇલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા અને તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે ટેક્નિકલ વર્કઆઉટ કરી સફળતા મેળવી હતી. આ કામગીરીમાં પો.હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા અને જગદીશભાઈ રંગપરા સહિત સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મોબાઇલ પરત મળતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી. વાંકાનેર પોલીસે “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને ફરી એકવાર સાર્થક બનાવ્યું છે.









