મોરબીમાં ગોલ્ડ લોન કરાવી આપવાના બહાને સાડા છ તોલા સોનાના દાગીના લઈ બે વ્યક્તિઓએ વિશ્વાસઘાત કરી બારોબાર વેચી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતે પોતાના કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારી ઉપર વિશ્વાસ રાખીને દાગીના ઉપર લોન કરવા આપ્યા હતા. હાલ તાલુકા પોલીસે આ મામલે બે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઓમ પાર્ક સોસાયટી લક્ષ્મીનગર ગામ તા.મોરબી ખાતે રહેતા કેતનભાઈ ભીમજીભાઈ વાઘેલા ઉવ.૩૭એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી કીર્તિકુમાર કનુભાઈ વરાણીયા રહે. નવી પીપળી શીવપાર્ક સોસાયટી તથા આરોપી પ્રમીલકુમાર ચતુર્વેદી રહે. હાલ ૨૦૧ સ્વસ્તિક સીટી પૂજા ફાર્મની બાજુમાં અસલાલી અમદાવાદ મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, કેતનભાઈ પેલેટ પેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને તેમની ઓફીસ લાલપર ગામે પાવનસુત પ્લાઝા ચોથા માળે આવેલ છે, આજથી એક વર્ષ પહેલા કેતનભાઈને તેમના પિતાની સારવાર માટે રૂપિયાની જરૂરી હોવાથી ગોલ્ડ ઉપર લોન લેવા ઈચ્છતા હતા. પરંતુ તેમના નામે લોન થઈ શકે એમ ન હોવાથી કેતનભાઈને ત્યાં કામ કરતા આરોપી કીર્તીકુમાર કનુભાઈ વરાણીયાએ પોતાના નામે ગોલ્ડ લોન કરાવી આપવાની ખાતરી આપતા કેતનભાઈએ મંગળસૂત્ર, ચેન-હાર, કાનના દાગીના અને વીંટી સહિત આશરે સાડા છ તોલા સોનાના દાગીના કિ.રૂ.૭,૫૦,૦૦૦/-તેને આપ્યા હતા. બાદમાં આરોપી કીર્તિકુમારે આઇસીઆઇસીઆઇ બેંકમાં દાગીના મુકીને રૂ.૩.૦૨ લાખની ગોલ્ડ લોન કરાવી રકમ ફરિયાદી કેતનભાઈને આપી હતી.
જે બાદમાં કેતનભાઈને તેમના સાળાના લગ્ન આવતા હોય જેથી દાગીના પરત માંગતા ઉપરોક્ત બંને આરોપીઓએ દાગીના છોડાવી, ફરિયાદીની જાણ બહાર વેચી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. હાલ તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









