મોરબી શહેરમાં માસિક ૪૦ ટકા અને ૨૦ ટકા ચામડાતોડ વ્યાજે રૂપિયા આપી બળજબરીથી ઉઘરાણી અને મારપીટ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વ્યાજખોર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી શહેરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઇન્દિરાનગર ગાયત્રીનગરમાં રહેતા મુકેશભાઈ જયંતીભાઈ ચૌહાણ ઉવ.૨૬એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાની બીમારી માટે રૂપિયાની જરૂર હોવાથી વર્ષ ૨૦૨૨માં મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા કાનાભાઈ ભરતભાઈ ગઢવી પાસેથી માસિક ૪૦ ટકા વ્યાજે રૂ.૯૦,૦૦૦/- લીધા હતા. આ ઉપરાંત ફરીયાદીના પિતાએ પણ આરોપી પાસેથી માસિક ૨૦ ટકા વ્યાજે રૂ.૨,૦૦,૦૦૦/-લીધા હતા તેમજ ફરીયાદીના ભાઈ રાહુલભાઈએ આરોપી જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી પાસેથી માસિક ૨૦ ટકા વ્યાજે રૂ.૨,૪૦,૦૦૦/- લીધા હતા. ત્યારે ફરીયાદી અને તેમના પરિવારજનો દ્વારા અત્યાર સુધી મૂડી કરતા પણ વધુ વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં આરોપીઓ દ્વારા સતત બળજબરીપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી. વધુમાં આરોપી કાનાભાઈ ગઢવીએ ફરીયાદીને બરણી વડે તેમજ ઢીકા-પાટા મારી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કાનાભાઈ ભરતભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









