મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરી વોર્ડ નં. ૧૧ અને ૧૩માં મતદારોની સંખ્યામાં તફાવત દૂર કરવા માંગ કરી છે. આ સાથે જ સુધારેલી મતદાર યાદી રાજકીય પક્ષોને ન મળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાની આવનારી પ્રથમ ચૂંટણી પૂર્વે મતદાર યાદી અને વોર્ડવાર મતદારોની સંખ્યાને લઈને વિવાદ ઉભો થયો છે. મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તા.૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ સુધારેલી મતદાર યાદી જાહેર થઈ હોવા છતાં રાજકીય પક્ષોને તેની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વધુમાં જણાવાયું છે કે મોરબી મહાનગરપાલિકાના વોર્ડોની રચના વર્ષ ૨૦૧૧ની વસ્તી આધારિત કરવામાં આવી છે, જેના કારણે હાલના મતદારોની સંખ્યામાં અસમાનતા જોવા મળે છે. કુલ અંદાજે ૨,૦૭,૦૦૦ મતદારોના આધારે એક વોર્ડમાં સરેરાશ ૧૬,૦૦૦ મતદારો હોવા જોઈએ, જ્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ૨૦% સુધીનો ફેરફાર સ્વીકાર્ય છે.
પરંતુ વોર્ડ નં.૧૧માં આશરે ૨૪,૪૭૧ મતદારો છે, જે મર્યાદા કરતાં વધારે છે, જ્યારે વોર્ડ નં.૧૩માં માત્ર ૧૫,૨૩૬ મતદારો છે. તેથી વોર્ડ નં.૧૧ના બુથ નં. ૧૯/૨૫, ૨૦/૨૫, ૨૧/૨૫ અને ૨૨/૨૫ને વોર્ડ નં.૧૩માં સમાવિષ્ટ કરવામાં આવે તો બંને વોર્ડમાં સંતુલન જળવાઈ શકે તેમ કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે. ઉપરોક્ત મામલે ચૂંટણી આયોગને તાત્કાલિક કાર્યવાહી કરી યોગ્ય સુધારો કરવા કોંગ્રેસ દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.









