મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મોરબી મહાનગરપાલિકાના પ્રમુખને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકાને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં બિલ્ડરો દ્વારા કોઈ પણ પકારની મંજુરી લીધા વગર બાંધકામો ચાલુ છે. આવા બાંધકામ કરવા માટે બિલ્ડરોએ કોઈ અધિકૃત અધિકારીઓની મંજુરી લીધેલ નથી. તેમ છતાં પણ આવા બિલ્ડરો ચાલુ બાંધકામે ગરીબ-મધ્યમ વર્ગના લોકો, નાના-મોટા વેપારીઓ, ગામડાના ખેડુતોને વિશ્વાસમા લઈ વેચાણ કરે છે. આવા ગરીબ-મધ્યમ વર્ગના લોકોએ વર્ષોથી ખેતમજુરી કે નાના-મોટા વેપાર ધંધા કરી પોતાની મહેનતથી મરણ મુળી એકઠી કરેલ હોય છે. જે મરણે મુળી પોતાના સ્વપ્નનું ઘર ખરીદવામાં ખર્ચ કરે છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ જે સ્વપ્નનું ઘર ખરીદવામાં આવેલ છે તે ઘરની કોઈ પણ પ્રકારની મંજુરી લીધેલ નથી. માત્રને માત્ર બિલ્ડરો કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર ગેરકાયદેસર બાંધકામો કરી નફો કમાવવા માટે ઈરાદાપૂર્વક લોકોને આવા મકાનો સોપી આપે છે. મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતા બાંધકામો દુર કરવા માટે મનપાના કમિશ્નર તરફથી નોટીસ આપવામાં આવેલ છે કે કેમ…? જો નોટીસ આપવામાં આવેલ હોય તો મનપા કમિશ્નરની કચેરી તરફથી શું પગલા લેવામાં આવેલ છે…? કે પછી માત્ર ને માત્ર કોણીએ ગોળ જ લગાડવામાં આવેલ છે. જો બિલ્ડરો દ્વારા થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરાવવામાં આવતા ન હોય તો પછી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને બિલ્ડરો દ્વારા જાણી જોઈને મંજુરી વગર સોપવામાં આવેલ બાંધકામો દુર કરવા નોટીસ શા માટે ..? આ રજુઆતને ધ્યાને લઈ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ બાંધકામો અટકાવવા તેમજ તળાવો કે પાણીના નિકાલ ઉપર બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા ઘટીત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે