મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા શહેરને પ્રકાશિત અને નાગરિકોને સુવિધાજનક વાતાવરણ મળી રહે તે હેતુસર સતત કાર્યરત છે. નેહરુ ગેટની લાંબા સમયથી બંધ ઘડિયાળ પુનઃ શરૂ કરવાથી લઈને મોબાઇલ એપ મારફતે લાઈટિંગ ફરિયાદોના ઝડપી નિકાલ સુધીની કામગીરી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરની પ્રકાશ વ્યવસ્થા મજબૂત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીની ઓળખ સમાન નેહરુ ગેટની ઘડિયાળ લાંબા સમયથી બંધ હાલતમાં હતી, જેને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જરૂરી મોડિફિકેશન કરીને પુનઃ શરૂ કરવામાં આવી છે. પરિણામે નેહરુ ગેટની ચતુર્દિશામાં આવેલી તમામ ઘડિયાળો ફરી કાર્યરત બની છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા તા.૦૩/૦૯/૨૦૨૫થી લાઈટિંગ સંબંધિત ફરિયાદો માટે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે તા.૦૩/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૧/૨૦૨૬ દરમિયાન કુલ ૪૦૨૧ ફરિયાદો પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૪૦૦૮ ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પણ શહેરમાં લાઈટિંગ સંબંધિત તમામ સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિવારણ થાય તેમજ સમગ્ર પ્રકાશ વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહેશે તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે.









