મોરબી નવલખી ફાટક પાસે આવેલ ધુતારી વિસ્તારમાં બાજુ બાજુમાં આવેલ ઇંટોના ભઠ્ઠે મજૂરને કામે રાખ્યા બાબતે થયેલ ઝઘડામાં ઈંટના ભઠ્ઠા સંચાલક પતિ અને તેમની પત્ની ઉપર બાજુના ઈંટના ભઠ્ઠા વાળાઓએ ઢીકાપાટુ, લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બે મહિલા સહિત ચાર શખ્સોએ મળીને દંપતી પર હુમલો કર્યો હતો. હાલ બંનેની મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મોરબીના વાવડી રોડ રવિપાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય વેપારી મનસુખભાઈ જગદિશભાઈ ભલછોડનો ઈંટોના ભઠ્ઠાનો વ્યવસાય છે, જે નવલખી ફાટક પાસે આવેલ ધુતારી વિસ્તારમાં મયુરભાઈ સતવારાના ખેતરમાં આવેલી જગ્યા પર ચાલે છે. ગઈ તા. ૩૧ મે, ૨૦૨૫ના રોજ મનસુખભાઈ તેમના ભઠ્ઠે હાજર હતા, ત્યારે સાંજના સમયે તેમની બાજુના ખેતરમાં બીજો ઈંટોનો ભઠ્ઠો ચલાવતા દામજીભાઈ ઉર્ફે ટીનાભાઈ જીવરાજભાઈ મંડલીએ મનસુખભાઈના ભઠ્ઠે આવી કહેવા લાગ્યા કે ‘કેમ મારા મજૂરોને લાલચ આપીને કામે રાખે છે’ તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે મનસુખભાઈએ તેમને ગાળો આપવાની ના કહી સમજાવવાનો પ્રયત્ન કરતા હોય તે દરમિયાન દામજીભાઈની પત્ની રેખાબેન અને તેમની સાળી અલ્પાબેન અને ઇમરાનભાઈ રીક્ષાવાળા સાથે ત્યાં આવી જઈ, મનસુખભાઈ અને શિલ્પાબેનને ઢીકાપાટૂનો માર માર્યો હતો. જ્યારે દામજીભાઈએ લાકડાનો ધોકો લઈ મનસુખભાઈના માથામાં એક ઘા માર્યો હતો, મનસુખભાઇના પત્ની શિલ્પાબેન પતિને બચાવવા વચ્ચે પડતા ઇમરાનભાઈએ છરી કાઢી શિલ્પાબેનને કમર પાસે ઘા મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન દેકારો થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત દંપતીને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા જ્યાંથી તેઓએ આરોપી દામજીભાઈ ઉર્ફે ટીનો જીવરાજભાઈ મંડલી, રેખાબેન દામજીભાઈ મંડલી, ઇમરાનભાઈ રીક્ષાવાળા ત્રણેય રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર તથા આરોપી અલ્પાબેન રહે. રાજકોટ ગ્રામ્ય વાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.