મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે બોલેરોમાં ક્રૂરતાપૂર્વક લઈને કતલખાને લઈ જવાતા ઘેટા નંગ ૩૩ અને બકરા ૧૨ નંગ એમ ૪૫ અબોલ જીવોને ગૌરક્ષકોએ બચાવી લીધા છે. આ સાથે બોલેરો ચાલક અને તેની સાથે મોરબીના એક શખ્સને તાલુકા પોલીસ મથકે લઈ જતા, જ્યાં તે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે તમામ જીવોને પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ શિવાભાઈ મૈયરા ઉવ.૨૮ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી હાષમશાહ બાકરશાહ શેખ ઉવ.૩૭ રહે. કચ્છ ભુજ અંજાર ગંગાનાકે શેખ ટીંબો તથા આરોપી વાલજીભાઈ સવશીભાઇ વાધેલા ઉવ.૪૫ રહે.મોરબી શોભેશ્વર રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ ૨૧/૦૬ ના રોજ રામજીભાઈના ગૌરક્ષક સંગઠનને બાતમી મળેલ કે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપ જીજે-૧૨-બીએક્સ-૧૯૫૯ આવી રહી છે. જેમાં ઘેટા-બકરા ક્રુરતા પૂર્વક લઈ જવામાં આવી રહ્યા છે. આ વાહન કચ્છથી માળીયા થઈને મો૨બી બાજુ આવતું હોય ત્યારે ગૌરક્ષકોએ રવિરાજ ચોકડીએ રોકીને તેમાં ચેક કરતા ૪૫ ઘેટા- બકરાને ક્રૂરતાપૂર્વક હલી ચલી ન શકે એવી રીતે બાંધેલા હતા. કોઈ પાસ પરપીન્ટ ન હોય જેને પૂછપરછ કરતા જણાવેલ કે કચ્છ બાજુથી ભરેલા હોય અને મોરબીમાં કુબેર ટોકીઝ પાસે કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. આ જીવને બચાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશ ખાતે લઈ જતા જ્યાં ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તમામ જીવોને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.