છેલ્લા ત્રણ દિવસથી મોરબી અને આજુબાજુના ગામો-જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ એક જ દિશામાં વહી રહ્યો છે. મોરબીના રવાપુર-ઘુનડા રોડ, પાણીની ટાંકી સામે ઉભી કરવામાં આવેલી ૩૨ લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલી એક આનંદનગરી- જોવા જેવી દુનિયા. આ અદભુત જોવા, જાણવા અને અનુભવવા જેવી નગરીનું જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે ૩ નવેમ્બરના રોજ સાંજે પૂજ્ય દીપકભાઈ દ્વારા ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. ત્રણ દિવસમાં જ એક લાખથી વધુ લોકો આ જોવા જેવી દુનિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.
જન્મ જયંતી મહોત્સવના આયોજકોના જણાવ્યા અનુસાર, પરમ પૂજ્ય દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી આપેલ કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન એટલે અક્રમ વિજ્ઞાન. આ અદભૂત અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને આવરી લેતી જોવા જેવી દુનિયામાં ‘થીમ પાર્ક’ અને ‘ચિલ્ડ્રન પાર્ક’નું સર્જન કરવામાં આવ્યું છે જે બાળકો અને યુવાનોને મુશ્કેલીઓથી ભરેલા જીવનમાં જિંદગી જીવવાનો એક અનોખો અભિગમ પૂરો પાડે છે. મોરબીમાં પ્રથમ વાર જ યોજાઇ રહેલ આ અનોખી દુનિયાની મુલાકાત લઈ લોકોએ સપરિવાર અહીં દર્શાવવામાં આવતા વિવિધ શો માણ્યા હતા. ઘણાં મુલાકાતીઓએ એવું પણ જણાવ્યું હતું કે “આ દુનિયામાં જે કોઈ પ્રવેશ કરશે, તે જીવન જીવવાની અમૂલ્ય ચાવીઓ લઈને જ જશે. સંસારની ગરમીથી દૂર, ઠંડક આપતી આ “જોવા જેવી દુનિયા’ની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી.” આ જોવા જેવી દુનિયાના દ્વાર ૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બુધવાર ૫ નવેમ્બરના રાત્રે યોજાયેલ આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિના પ્રયોગમાં હજારો મુમુક્ષુઓ એ આત્મજ્ઞાન મેળવ્યું હતું અને ત્યારબાદ પૂજ્ય દીપકભાઈ દ્વારા આત્મજ્ઞાન સાથે વ્યવહારની ફરજો પૂરી પાડવાની સચોટ સમજણ આપતી પાંચ આજ્ઞાઓ ખૂબ જ ભાવથી સમજી હતી. મહોત્સવ અંતર્ગત ૬ અને ૭ નવેમ્બરના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ અને રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકે છે.
વધુમાં, અનેકવિધ મલ્ટીમીડિયા શો અને ફિલ્મ્સ જોવા મળશે થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે વિવિધ મનોરંજક માધ્યમોથી, રોજીંદા જીવનમાં પ્રેક્ટિકલ રીતે સાચી સમજણને હસતા-હસાવતા પીરસતા પ્રદર્શનો, થીમ પાર્કમાં મળે છે જીવનમાં કામ લાગે એવો સાચી સમજણનો ખજાનો જેનો સમય ૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ સુધી રહેશે. “વિક્રમ વેતાળ” રોબોટીક્સ સાથે ડ્રામા – રોમાંચક નાટકના માધ્યમથી માનવધર્મની પાયાની સમજણ મળે છે. જેવો મને ગમે તેવો જ વ્યવહાર બીજાની સાથે કરવો એ માનવધર્મ! પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આ સમજણ શીરાની પેઠ જીવનમાં ઉતરી સ્વયં ક્રિયાકારી બનશે. “સાઈરન” – આ શોર્ટ ફિલ્મ એક પ્રયાસ છે આપણી અંદર વાગતી સાઇરનને ઓળખવાનો, જે સતત આપણને ચેતવતી હોય છે. જરૂર છે બસ કાન અને હ્રદય ખુલ્લા રાખી સાંભળવાની. “તારા રમપમપુર” મનોરંજક પપેટ શો – બાળકોને, બાળકો દ્વારા, બાળ ભાષામાં સંસ્કાર સિંચન કરાવતી તારાઓની દુનિયાની એક સફર બાળકોને જીદ ઉપર જીત મેળવવાની સમજ પૂરી પાડશે. અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા નિર્માણ કરવામાં આવેલ આ મલ્ટિમીડિયા હોલોગ્રામ શો જે વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોના સમાધાન આપશે. આ એક જ શો માં ત્રણ વિશાળ LED સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ એક ટ્રાન્સપરેન્ટ LED સ્ક્રીન છે જે કદાચ તમે પહેલીવાર જ જોશો. સુપર હીરો એટલે જેમની પાસે બીજા કરતાં અલગ કઈંક વિશેષ શક્તિ હોય. તમે પણ આ પ્રદર્શનમાં જાતે જ અનુભવ કરી ખિલવીએ વ્યવહારમાં એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ અને બનીએ સુપર હીરો. બાળકોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો મોકો આપતું એક પ્લેટફોર્મ કે જેમાં તેઓ ડ્રામા અને કોમ્પિટિશનમાં સહભાગી બની શકશે. આ ઉપરાંત બાળકો માટે લકી-ડ્રો, અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનનો સમન્વય કરતી વેબ દુનિયા, બાલ વિજ્ઞાન અને આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો પૂરો પાડતા બુક સ્ટોર્સ, 12000 બેઠકની ક્ષમતા ધરાવતો સવા લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલ વિશાળ સત્સંગ હોલ, સ્થળ: રવાપુર-ઘુનડા રોડ, પાણી ના ટાંકા સામે, મોરબી, ગેંડા સર્કલ અને ઉમિયા સર્કલથી મહોત્સવ સ્થળે આવવા ફરી બસ સેવ બપોરે ૩.૩૦ થી રાત્રે ૧૧.૩૦ સુધી રહેશે.









