મોરબીમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે બાલભવનની અછતને ધ્યાનમાં રાખી ‘ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન’ દ્વારા મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સુરજબાગ ખાતે બાલભવન સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સુવિધા ઉભી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
મોરબી શહેરમાં ડાન્સ, સંગીત અને નાટ્ય જેવી વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓ માટે ૩૦ જેટલા ક્લાસીસ અને સંસ્થાઓ કાર્યરત હોવા છતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે એક પણ બાલભવનની સુવિધા ઉપલબ્ધ નથી. આ મુદ્દે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ રામ મહેતાએ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી કે, મોરબી એક કલાપ્રેમી નગરી હોવા છતાં બાળકો માટે એક જ સ્થળે વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે સંગીત, નાટ્ય, ડાન્સ અને કરાટે જેવી તાલીમ મળી રહે તેવી વ્યવસ્થા નથી. હાલ સુરજબાગ ખાતે સુંદર બગીચો વિકસાવવામાં આવી રહ્યો છે, ત્યારે અહીં બાલભવન બનાવવામાં આવે તો બાળકોના માનસિક, શારીરિક અને સર્જનાત્મક વિકાસ માટે તે ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત રાજકોટની તુલનામાં મોરબીમાં પણ બાલભવન જેવી સુવિધા ઉભી થાય તેમજ ટાઉન હોલને વહેલી તકે કાર્યરત કરવામાં આવે તો નાટકો, સંગીત કાર્યક્રમો અને અન્ય સાંસ્કૃતિક ઇવેન્ટ્સનું આયોજન શક્ય બનશે તેમ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.









