વર્તમાન સમય અનુસાર ઓફિસમાં બેસીને કરી શકાજ તેવા અંતરાલ સમયે ડેસ્ક યોગા વધુ પ્રચલિત થઈ રહયા છે. જે માનસિક અને શારિરીક તંદુરસ્તી સાથે કાર્યક્ષમતામાં વધારો કરે છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી પીઠ, ઘૂંટણ, કંધાના દુખાવાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે યોગ જરૂરી છે. અને તેના માટે ડેસ્ક યોગા વધુ પ્રચલિત થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય સંસ્કૃતિમાં યોગ અને ધ્યાન એ આપણી પુરાતન અને ઋષિ પરંપરાગત સંસ્કૃતિ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગાસન માત્ર શારીરિક કસરત નથી, તે માનસિક અને આત્મિક સુખ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે વર્તમાન સમયમાં આપણી જીવનની શૈલીમાં પરિવર્તન આવ્યું છે અને તે પરિવર્તનની સાથે સ્થૂળતા, મેદસ્વિતા અને આળસના કારણ શરીર અનેક રોગનું ઘર બન્યું છે. ત્યારે યોગ આવી અનેક સમસ્યાઓના સમાધાન તરીકે વિશિષ્ટ ભૂમિકા ભજવે છે યોગાસનો થકી ચિંતાનો નાશ થાય છે અને એકાગ્રતા વધે છે. મોડું સુવું, મોડું જાગવું, ખોટી આહારશૈલી વગેરેથી થતી અસંખ્ય તકલીફો યોગાસનથી દૂર કરી શકાય છે. ખાસ કરીને ઓફિસમાં બેઠાડું જીવન અને તણાવના કારણે યોગાસન ખૂબ જરૂરી છે. જે માટે ‘ચેર યોગા’ કે ‘ડેસ્ક યોગા’ની પ્રણાલીને અનુસરી ઓફિસમાં અંતરાલ સમયમાં યોગા અભ્યાસની સરળ સૂક્ષ્મ ક્રિયાઓ અને મુદ્રાઓ થકી ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી પીઠ, ઘૂંટણ, કંધાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે આગામી ૨૧ જૂને ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ઉર્જાભેર ઉજવણી કરવામાં આવશે. ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘યોગ ફોર વન અર્થ, વન હેલ્થ’ ની થીમ પર ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રમાણિક ઓફિસમાં અંતરાલ સમયમાં કરી શકાય તેવી યોગિક ક્રિયાઓ સૂક્ષ્મ ક્રિયાઓ અને યોગાસનો વિશે વિસ્તૃત વાત કરાઈ છે. જેના યોગાસનો ઓફિસની જગ્યામાં આરામથી થઈ શકશે અને તેના લાભ પણ જબરદસ્ત મળશે. જેમાં ગરદનની સૂક્ષ્મ ક્રિયા શરીરને સ્થિર કરી કોઈપણ આરામદાયક સ્થિતિમાં બેસી શ્વાસ ભરતા ગરદનથી આકાશ તરફ જુઓ શ્વાસ છોડતા જમીન તરફ જુઓ શ્વાસ છોડતા ગરદનથી જમણી બાજુ જુઓ શ્વાસ ભરતા સામે તરફ જુઓ શ્વાસ છોડતા ગરદનથી ડાબી બાજુ જુઓ શ્વાસ ભરતા સામે તરફ જુઓ. શ્વાસ છોડતા ગરદન આગળ ઝુકાવો હવે ગરદનને જમણી બાજુથી શ્વાસ ભરતા ડાબી બાજુ ગોળ ગોળ ફેરવો ત્યારબાદ ડાબા થી જમણી બાજુ ગોળ ફેરવો. જેથી ગરદનની જકડામણ દૂર થાય છે સર્વાઇકલ સંબંધી સમસ્યા દૂર થાય છે. જેમાં સર્વાઇકલ હોય તેમણે આગળ ન ઝૂંકવા માટેની સાવધાની રાખવી જોઈએ. હાથની સુક્ષ્મ ક્રિયા આરામદાયક સ્થિતિમાં કમર ગરદન અને મસ્તક એક લાઇનમાં ટટ્ટાર રાખી બંને હાથ બાજુમાં રાખો, શ્વાસ ભરતા બંને હાથ માથા ઉપર લઈ જાય હથેળી બહાર તરફ રહેશે શ્વાસ છોડતા બંને હાથ નીચે લઈ આવો ત્રણથી પાંચ વાર કરો. જેથી હાથના સ્નાયુઓ મજબૂત થાય છે, હાથમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે તેમજ હાથના સાંધાનો દુખાવો દૂર થાય છે. ખભાની સૂક્ષ્મ ક્રિયા માટે આરામદાયક સ્થિતિમાં બેસી કમર ગરદન અને મસ્તક એક લાઈનમાં ટટ્ટાર રાખો. બંને હાથ ખભા પર રાખો કોણીઓને આગળ બાજુ બાજુમાં લઈ જાવ હવે શ્વાસ ભરતા બંને કોણી ઉપરથી નીચે તરફ ગોળ ફેરવો ત્રણથી પાંચ વખત કરો ત્યારબાદ વિપરીત કરો. જેથી ખભાના સાંધાનો દુખાવો દૂર થાય છે. ફ્રોજન શોલ્ડર ની સમસ્યા દૂર થાય છે. કમરની સૂક્ષ્મ ક્રિયાથી કમર ગરદન અને મસ્તકને એક સીધમાં બેસો શ્વાસ છોડતા કમરથી જમણી બાજુ જુઓ શ્વાસ ભરતા સામે તરફ આવો શ્વાસ છોડતા ડાબી બાજુ જુઓ અને શ્વાસ ભરતા સામે આવો આ ક્રિયા ત્રણથી પાંચ વાર કરો જેથી કમરનો દુખાવો દૂર થાય છે પીઠની અકડામણ દૂર થાય છે. તાડાસન (બેસીને) આરામદાયક સ્થિતિમાં બેસો શ્વાસ ભરતા બંને હાથને આગળ લઈ ખભાને સમાંતર રાખો. આંગળા વચ્ચે આંગળા પરોવી હથેળી બહારની તરફ રાખો અને બંને હાથને માથા ઉપર લઈ જાવ શરીરને શક્ય તેટલું ઉપર ખેંચાણ આપો શ્વાસ સામાન્ય રાખો શરીરમાં આપેલ ખેંચાણ પર ધ્યાન કેન્દ્રિત કરો થોડીવાર આ સ્થિતિમાં રોકાવું શ્વાસ છોડતા ધીરે ધીરે હાથને નીચે લાવો આરામથી બેસો. જેથી શરીરની અકળામણ પીઠનો દુખાવો અને આળસ દૂર થાય છે કરોડરજ્જુ મજબૂત બને છે. આખા શરીરમાં ખેંચાણ આવવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. અર્ધ ચક્રાસન (બેસીને)માં આરામદાયક સ્થિતિમાં ટટ્ટાર બેસો બંને હાથ કમર પર રાખો, અંગુઠાને આગળ રાખો શ્વાસ ભરતા કમરથી શક્ય તેટલું પાછળ તરફ ઝૂકો, થોડીવાર રોકાઓ શ્વાસ છોડતા સીધા થઇ મૂળ સ્થિતિમાં પાછા આવો. જેથી પીઠના સ્નાયુઓ લચીલા બને છે, થાઇરોઈડ સંબંધી સમસ્યામાં લાભ થાય છે, કમર પીઠ અને ગળાના સ્નાયુઓ મજબૂત અને કાર્યક્ષમ બને છે. પાદ હસ્તાસન(બેસીને) જેમાં કમર ગરદન અને મસ્તકને એક લાઇનમાં ટટ્ટાર રાખીને બેસો શ્વાસ ભરતા બંને હાથ માથા ઉપર લઈ જાવ હથેળી સામે તરફ રાખો હવે શ્વાસ છોડતા કમરથી આગળ ઝૂકો બંને હાથને પગની બંને બાજુ એક લાઈનમાં રાખો. શ્વાસ ભરતા ધીરે ધીરે ઉભા થાવ બંને હાથને બાજુમાં રાખી આરામદાયક સ્થિતિમાં બેસો. જેથી પેટની ચરબી ઘટે છે, કરોડરજ્જુ લચેલી અને મજબૂત બને છે. પીઠની અકળામણ દૂર થાય છે, પેટના અંદરના સ્નાયુઓને મસાજ મળે છે. આસનો અને સુક્ષ્મ ક્રિયા કરતી વખતે દરેક સૂક્ષ્મ ક્રિયા અને આસનો નિષ્ણાંતોની સલાહ લીધા બાદ કરવા. વધુ પડતું કમર દર્દ કે હૃદય સંબંધી બીમારી હોય તો પૂરેપૂરું માર્ગદર્શન મેળવી સુક્ષ્મ ક્રિયાઓ અને આસનો કરવા ચક્કર આવતા હોય પેટમાં સર્જરી કે અન્ય શસ્ત્રક્રિયા કરાવેલ હોય તેમણે કાળજીપૂર્વક તેમજ પોતાની ક્ષમતા મુજબ જ કરવા સુચના આપવામાં આવી છે.