મોરબીના લક્ષ્મીનગર નજીક રવિરાજ ચોકડી પુલ ઉપર ક્રેટા કાર આગળ જતા અજાણ્યા વાહનના પાછળના ભાગે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સ્થળ ઉપર મોત થયું હતું. ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસે બીએનએસ અને મોટર વાહન અધિનિયમ હેઠળ ક્રેટા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોટી વાવડી (સુપેડી) તા.ધોરાજી જી.રાજકોટ રહેતા નંદલાલભાઈ વલ્લભભાઈ ભાલોડિયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમની ફરિયાદ મુજબ તેમના દીકરા પ્રિતકુમાર નંદલાલભાઈ ભાલોડિયા ઉવ.૨૭ મોરબી-૨ હાઉસિંગ નજીક શ્રીમદ સોસાયટીમાં ભાડાના રૂમમાં રહેતા હતા અને સિરામિક કારખાનામાં નોકરી કરતા હતા. પ્રિતકુમાર ગત તા. ૨ માર્ચની રાત્રે પોતાની ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૧૭૧૦ લઈને માળિયા-મોરબી હાઈવે તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન લક્ષ્મીનગર પાસે રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા અજાણ્યા વાહનના પાછળના ભાગે તેમની કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રિતકુમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે મૃતકના પિતાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે મૃતક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠવલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









