માળીયા(મી) તાલુકાના વાધરવા ગામના પાટીયા નજીક બંધ ટ્રક પાછળ પુર ઝડપે આવતું ટ્રક-ટ્રેઇલર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેઇલર ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માત મામલે બંધ ટ્રકના ચાલકની ફરિયાદના આધારે આરોપી મૃતક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના ટોંક જીલ્લાના જાનકીપુરાના વતની ગોવિંદ સુખદેવ ચૌધરી ઉવ.૨૬ એ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૨/૦૨ના રોજ રાજસ્થાનથી ટ્રક રજી.નં. આરજે-૧૪-જીએન-૭૬૭૯ માં સીરામીકનો પાઉડર ભરી મોરબી ખાલી કરવા આવતા હોય ત્યારે હળવદ-માળીયા(મી) હાઇવે ઉપર વાધરવા ગામથી આગળ માળીયા તરફ રોડ ઉપર ઉપરોક્ત ટ્રકનું ટાયર ફાટતા, ટ્રક બંધ પડી ગયેલ જેથી ટ્રકના સાઈડ સિગ્નલ ચાલુ કરી, ટ્રક પાછળ કોઈ અથડાય અકસ્માત ન થાય તે માટે ટ્રક પાછળ પથ્થર મુક્યા હતા અને પાછળ આવતા વાહનોને ઇશારાથી બીજી સાઈડ લેવા ઉભા રહ્યા હતા, તે દરમિયાન પાછળ આવતા ટ્રક-ટ્રેઇલર રજી. ન. જીજે-૩૬-વી-૫૩૬૭ ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારી પૂર્વક ચલાવી આવી બંધ ટ્રકના પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેઇલર ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન ટ્રેઇલર ચાલક લવકુશ રમાશંકર પટેલ ઉવ.૨૩ હાલ રહે. વાધરવા ગામની સીમમાં નવકાર કોર્પોરેશન કંપનીમાં મૂળ રહે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જીલ્લાના તેદુવા ગામ વાળાનું કરૂણ મોત નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે મૃતક ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









