મોટર સાયકલ ઉપર દર્શન કરવા જતા દંપતીને પાછળથી કારની ટક્કર, વૃદ્ધનું ટૂંકી સારવારમાં મૃત્યું.
વાંકાનેરમાં રહેતા વૃદ્ધ દંપતી પોતાના મોટરસાયકલમાં વરડૂસર ગામે દર્શન કરવા જતાં હોય તે દરમિયાન વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી નજીક પાછળથી આવતી કારે મોટર સાયકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ૭૦ વર્ષીય વૃદ્ધનું માથા અને પગમાં ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને શરીરે સામાન્ય મૂંઢ ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક ઘટના બાદ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ, વાંકાનેરના પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઈ જેહાભાઈ લામકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા જેહાભાઈ નાજાભાઈ લામકા ઉવ.૭૦ અને માતા રખુબેન તા.૨૭ માર્ચની સવારે વરડુસર ગામે માતાજીના દર્શન કરવા માટે મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-બીજે-૮૩૨૫ લઈને નીકળ્યા હતા. ત્યારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી ચોકડી નજીક પાછળથી પુરઝડપે આવી રહેલી કાર રજી. નં. જીજે-૦૩-એમઆર-૪૮૨૭ના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતના કારણે જેહાભાઈને માથા તેમજ બન્ને પગમાં ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે ફરિયાદીની માતા રખુબેનને મૂંઢ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક તેનું વાહન મૂકીને નાસી ગયો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









