બાંગ્લાદેશમાં હિન્દુ શ્રમિકની જાહેરમાં કરાયેલી નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર હિન્દુ સમાજમાં રોષ ફેલાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આજે મોરબીના નગર દરવાજા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવાનું આયોજન કરાયું છે.
મોરબી: બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં થયેલી નિર્મમ હત્યાની ઘટનાને લઈને મોરબી સહિત સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ સમસ્ત હિન્દુ સમાજ મોરબી દ્વારા આ ઘટનાના વિરોધમાં આજે મંગળવાર તા. ૨૩-૧૨-૨૦૨૫ના રોજ સાંજે ૬ વાગ્યે નગર દરવાજાના ચોકમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં તમામ હિન્દુ ભાઈઓ અને બહેનોને ફરજિયાત જોડાવા અપીલ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદના જણાવ્યા મુજબ હાલના સમયમાં હિન્દુ વિરોધી અને હિન્દુ ધર્મ, આસ્થા તથા જીવને આઘાત પહોંચાડતી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ગત સપ્તાહ બાંગ્લાદેશના મેમનસિંહ જીલ્લાનાં ભાલુકા વિસ્તારમાં સામાન્ય હિન્દુ શ્રમિક દીપુદાસ પર ઈશ નિંદાના ખોટા આરોપ લગાવી જેહાદી ભીડ દ્વારા અનૌપચારિક વાતચીત દરમિયાન તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ દીપુદાસને ઝાડ પર લટકાવી બાળી દેવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વિશેષ ચિંતાજનક બાબત એ છે કે આ સમગ્ર ઘટના ત્યાંના પોલીસ પ્રશાસનની નજર સામે બની હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.









