મોરબીના ઉંચી માંડલ ગામના બે યુવાનો વચ્ચે જૂના વિવાદને લઈને ઘુંટુ ગામની રામનગરી સોસાયટી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન ઝઘડો થયો હતો. બંને પક્ષે એકબીજા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતાં, પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના રહેવાસી નીતીનભાઈ ભરતભાઈ લાંબરીયા ઉવ.૨૨ અને જોધાભાઈ ઉર્ફે કાનાભાઈ નવઘણભાઈ કાટોડીયા ઉવ.૨૩ વચ્ચે અગાઉ ઘરની બહાર બાથરૂમ બનાવવા મુદ્દે થયેલા વિવાદને લઈને ઘુંટુ ગામે રામનગરી સોસાયટી ખાતે લગ્ન પ્રસંગે ગયા હોય ત્યારે બંને વચ્ચે મારામારી થઈ હતી.
જેમાં નીતીનભાઈની ફરિયાદ અનુસાર, તા. ૨૩/૦૫ ના રોજ રાતે દોઢેક વાગ્યે તેઓ લગ્ન પ્રસંગમાં હાજર હતા ત્યારે કાનાભાઈ ત્યાં આવ્યા અને જૂના વિવાદનો ખાર રાખી છરી બતાવી ગાળો આપી અને ઝપાઝપી કરી મુઢ માર મારી ભાગી છૂટ્યા હતા. જ્યારે સામાપક્ષે કાનાભાઈ કાટોડીયાએ પણ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે ૨૩/૦૫ના રોજ લગ્નપ્રસંગે મોટરસાઈકલ લઈને જતા હતા ત્યારે નીતીનભાઈ પાછળથી આવી લાકડી વડે મોટરસાઈકલની સીટ અને કાનભાઈને માથા પર ઘા માર્યા હતા. જેના કારણે તેઓ બેભાન થઇ ગયા અને સ્થળ ઉપર હાજર મહેમાનો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તાલુકા પોલીસે બંનેની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.