વાંકાનેરના મોટા ભોજપરા ગામે ખેડૂતની વાડીમા મધરાતે આગ લાગી હતી. આગમાં ખેત પેદાશ મગફળીના પાલા અને જારની કડબો બળી જતા લગભગ રૂ. ૭૦,૦૦૦/- જેટલું નુકસાન થયું છે. ત્યારે ખેતરે લગાવેલ સીસીટીવી ફૂટેજને આધારે ગામના જ એક યુવકે આગ લગાડી હોવાનું સામે આવતા, ભોગ બનનાર ખેડૂતે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના મોટા ભોજપરા ગામે રહેતા એઝાજએહમદ ઇસ્માઇલભાઈ માથકિયા ઉવ.૩૪ કે જેઓ ખેતી અને કરીયાણાની દુકાન ચલાવે છે. તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાભભાઈ સારલા હાલ મોટા ભોજપરા મૂળ રહે. ચોટીલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એઝાજભાઈ દ્વારા ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તા. ૧૨ જૂનના રોજ રાત્રે પાધરની વાડીએ રાખેલા ખેત પેદાસના મગફળીના પાલા અને જારની કડબોમાં આગ લાગી હતી, જેની જાણ ગામવાળાએ કરતા, પરિવારના સભ્યો સાથે એઝાજભાઈ વાડીએ દોડી ગયા હતા, જ્યાં ગામલોકોની મદદથી આગ બુઝાવવામાં આવી હતી. આગમાં તમામ ખેત પેદાશ બળીને ખાક થઈ જતા કુલ રૂ.૭૦,૦૦૦/-નું નુકસાન થયું હતું. આગનો બનાવ શંકાસ્પદ હોવાથી, વાડીમા લગાવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતા, જેમાં ભોજપરા ગામનો રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાભભાઈ સારલા એકલો વાડીએ આંટા મારતો જોવા મળ્યો હતો. હાલ એઝાજભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ ૩૨૬(એફ) હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.