યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા યંગ થિન્કર્સ મીટનું આયોજન, તેજસ્વી યુવાનો કરશે વિવિધ મુદ્દે મંથન
મોરબી: આજના સમયમાં દેશ અને સમાજના નવનિર્માણ માટે યુવા શક્તિની ભૂમિકા સૌથી મહત્વની છે. યુવાનો પાસે શક્તિ, ક્ષમતા અને સંભાવનાઓનો અખૂટ ભંડાર છે, પરંતુ તેને સાચી દિશા અને યોગ્ય પ્લેટફોર્મ મળવું જરૂરી છે. યુવાનોની આ શક્તિ અને ક્ષમતાને સાચા અર્થમાં કેળવવા, તેમને એક સક્ષમ વિચારમંચ પૂરું પાડવા અને સાચી દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં એક ભવ્ય વૈચારિક ક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આગામી 22 માર્ચ 2026ના રોજ શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતે ‘1st સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ‘1st સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ’ની થીમ ‘જવાબદાર યુવાઓ, યશસ્વી સૌરાષ્ટ્ર – સંકલ્પથી સિદ્ધિ સુધી’ રાખવામાં આવી છે. આ મીટ વિશે વિસ્તૃત માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્ર, આપણી ગૌરવશાળી સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે જાગૃતિ તથા સભાનતા કેળવવાનો છે. યુવાનો પોતાના વિચારો દ્વારા સકારાત્મક દિશામાં આગળ વધે, તેમનામાં રહેલી નકારાત્મકતા દૂર થાય અને એક વિચારવાન, સક્રિય અને જાગૃત યુવા વર્ગ ઊભો થાય તેવા ઉમદા આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનોમાં સાચી નેતૃત્વ ક્ષમતા ખીલે, રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શું જવાબદારી છે તેનું ભાન થાય અને રાષ્ટ્રીય ચેતના જાગૃત થાય તે માટે આ વિશેષ મહામંથન યોજાશે.
આ મીટ માત્ર કોઈ સામાન્ય કાર્યક્રમ નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા યુવાનો એકસાથે ભેગા મળીને પોતાના વિચારોનું એકબીજા સાથે આદાન-પ્રદાન કરશે. અહીં સમાજ અને રાષ્ટ્રને સ્પર્શતા વિવિધ વિષયો પર મંથન થશે અને નવા આઇડિયાઝ પર ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના યુવાનો એક મંચ પર આવીને ભવિષ્યના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન મેળવશે.
જે પણ યુવાનો આ 1st સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટમાં જોડાઈને આ વૈચારિક મહાકુંભમાં ભાગ લેવા માંગતા હોય, તેઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા એકદમ સરળ છે. આ માટે નીચે દર્શાવવામાં આવેલ QR કોડને પોતાના મોબાઈલથી સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. સૌરાષ્ટ્રના તમામ યુવાનોને આ કાર્યક્રમનો લાભ લેવા અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું છે.









