ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબીના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ કારકિર્દીને લગતી તમામ માહિતી પૂરી પાડવા આગામી ૧૦ જાન્યુઆરીએ મોરબી ખાતે વિદેશ રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે. કારકિર્દી માર્ગદર્શન સેમીનારનો વધુ ને વધુ લાભ લેવા જિલ્લાના યુવાઓને જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
માહિતી બ્યૂરો, મોરબીના જણાવ્યા અનુસાર, આગામી ૧૦ જાન્યુઆરીના રોજ નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, મોરબી રોજગાર વિનિમય કચેરી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટ દ્વારા નવયુગ કોલેજ-વીરપર અને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદેશ રોજગાર સેમીનાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રોજગાર કચેરી સંલગ્ન વિવિધ સેવાઓ, વિદેશ રોજગાર સેલની કામગીરી, વિદેશ રોજગાર, વિઝા, પાસપોર્ટ, એજ્યુકેશન લોન, અનુંબધમ પોર્ટલ, ધોરણ ૧૦ અને ૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડીગ્રી, આઈ.ટી.આઈ. તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોની માહિતી વિશે તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામા આવનાર છે. ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં રહેલ નોકરીની તકો વિશે પણ માહિતી આપવામાં આવનાર છે. તો આ સેમીનારનો વધુને વધુ લાભ લેવા મોરબી જિલ્લાના યુવાઓને મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.