પેસેન્જરોની સલામતી માટે ઈન-આઉટ ગેટ ફરજિયાત હોવાની માંગ, સરકારને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ
વાંકાનેર એસ.ટી. ડેપોમાં બે દરવાજા હોવા છતાં એક દરવાજો બંધ રાખવામાં આવી રહ્યો છે, જે પેસેન્જરો અને વાહન વ્યવહાર માટે જોખમી બન્યું છે. માજી સાંસદ રમાબેન આર. માવાણી દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને એસ.ટી. નિગમના વહીવટી સંચાલકને લેખિત રજૂઆત કરી તાત્કાલિક બંને દરવાજા ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે.
વાંકાનેર એસ.ટી. ડેપોનું નવીનીકરણ થઈને એક વર્ષ પૂર્વે લોકાર્પણ થયું હતું. અહીં આવતા પેસેન્જરો, બસ અને વાહનચાલકો માટે બે દરવાજા બનાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ અગમ્ય કારણસર એક દરવાજો કાયમ માટે બંધ રાખવામાં આવી રહ્યો છે. આને કારણે બસો, પેસેન્જરો અને ખાનગી વાહનો માટે આવન-જાવન માટે માત્ર એક જ દરવાજો હોય, જેનાથી ન ટાળી શકાય તેવી ભીડ અને અકસ્માતોની સંભાવના ઊભી થઈ છે. વાંકાનેર તાલુકા અને આસપાસના ૧૦૦ જેટલા ગામડાઓના લોકો આ ડેપોનો ઉપયોગ કરે છે. મોટાભાગે આર્થિક રીતે નબળા ખેડૂતો અને ખેત મજદૂરો એસ.ટી. બસ દ્વારા અવરજવર કરે છે. આ ડેપોની આવક અન્ય ડેપોની સરખામણીએ ઊંચી છે, તેથી અહીં આવન-જાવન ખૂબ જ વધી ગયું છે. માર્ગ સલામતી વિભાગના નિયમ મુજબ દરેક જાહેર સ્થળે પેસેન્જરો અને વાહન માટે અલગ-અલગ દરવાજા રાખવા ફરજીયાત છે. માત્ર એક દરવાજા દ્વારા બસો અને વાહનો પસાર થતાં હોય ત્યારે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતોના બનાવો બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ વર્તમાન પ્રશ્નને લઈને ગુજરાત એસ.ટી. મજદૂર મહાસંઘ (બી.એમ.સી.), અમદાવાદના કાર્યકારી અધ્યક્ષ જગદીશભાઈ એસ. પટેલ દ્વારા પણ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વહીવટી સંચાલકને લેખિત રજૂઆત કરાઈ હતી. મહાસંઘના અન્ય પદાધિકારીઓ અને એસ.ટી. મુસાફરો દ્વારા પણ સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે. તો વાંકાનેર ડેપોમાં આવન જાવન માટે ઇન-આઉટ બન્ને ગેઇટ તાત્કાલિક ચાલુ કરવા સંબંધકર્તાઓને આદેશ કરવા માંગણી કરાઈ છે.