મોરબી અને વાંકાનેર વિસ્તારમાં એક જ દિવસે ચાર જુદા જુદા અપમૃત્યુના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં મોરબીની યુવતી ગળેફાંસો ખાઈ મોતને ભેટી, એક યુવક તળાવમાં ડૂબી ગયો જ્યારે વાંકાનેરમાં ઘરકંકાસને કારણે યુવકે આત્મહત્યા કરી આ ઉપરાંત સ્કૂટર સ્લીપ થતા એક યુવકનું અકસ્માતે મૃત્યુ થયું. પોલીસે તમામ કેસોમાં અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી-વાંકાનેર વિસ્તારમાં વિવિધ અપમૃત્યુના બનાવોમાં ચાર જણાનું મોત નિપજ્યું હતું. જેમાં પ્રથમ અપમૃત્યુના બાબાવમાં સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતી ૨૨ વર્ષીય રિયાબેન અભિજીતભાઈ સનતકુમાર ભટ્ટ નામની યુવતીએ પોતાની સગાઈ તૂટી જતા માનસિક આઘાતમાં આવી ઘરમાં જ સિલિંગ પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે રિયાબેનને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવ અંગે મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના મોડપર ગામે આવેલ વોકલમાં ગણેશ વિસર્જન બાદ તેમાં ન્હાવા ગયેલા ૩૨ વર્ષીય કરણભાઈ મુકેશભાઈ નામના યુવકનું વોકળાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં વાંકાનેર શહેરના ભરવાડપરામાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા ઉવ.૩૫ નામના વ્યક્તિને તેમની પત્ની સાથે મનમેળ ન હોય ઘર કંકાસ થતો હોય અને અવારનવાર પત્ની રિસામણે જતી રહેતી હોય જેનું મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
તે જ રીતે અપમૃત્યુના ચોથા બનાવમાં ૨૧ વર્ષીય એહમદશા જહાંગીરશા રાઠોડ રહે. લીંબાળાની ધાર તા.વાંકાનેર નામનો યુવક ગત તા.૦૫/૦૯ના સાંજે વાંકાનેર નજીક ચંદ્રપુર અંજની પ્લાઝા પાસે સ્કૂટર સ્લીપ થવાને કારણે રસ્તા પર પટકાયો હતો. જેથી તેને કપાળમાં ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઉપરોક્ત અપમૃત્યુના ચારેય બનાવોની પોલીસ દ્વારા અલગ અલગ અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.