મોરબી તાલુકાના જેપુર ગામ નજીક અકસ્માતની ઘટનામાં પુરપાટ આવતી ફોરવ્હીલ કારે અતુલ રીક્ષાને સામેથી આવી એકદમ જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી એક પેસેન્જરને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે આ અકસ્માતના બનાવ અંગે રીક્ષા ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે કાર-ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી રણછોડનગર શેરી નં.૩ માં રહેતા ભાનુભાઈ સુખાભાઈ રાઠોડ ઉવ.૬૦ અતુલ રીક્ષા રજી. ન. જીજે-૦૩-ડબલ્યુ-૧૨૩૧ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે ગઈ તા.૧૮/૦૬ ના રોજ ભાનુભાઈ જુના બસ સ્ટેન્ડથી પોતાની અતુલ રીક્ષામાં પેસેન્જર બેસાડી પીપળીયા ચાર રસ્તા જઈ રહ્યા હોય તે દરમિયાન મોરબી-નવલખી રોડ ઉપર જેપુર ગામ નજીક સામેથી ફોરવ્હીલ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૯૬૬૦ના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી અતુલ રીક્ષાને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, કારની જોરદાર ટક્કરમાં અતુલ રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓ રોડ ઉપર પટકાયા હતા, જેમાં એક પેસેન્જર જયકુમાર શિવપ્રભુરામ રાયને માથાના અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોચતા, તમામને સારવારમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ તાલુકા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે