ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ ખોડલધામ આશ્રમમાં રહેતા મહંતશ્રી રામચરણદાસજી નારણદાસજી ઉપર મધરાતે ચાર અજાણ્યા લૂંટારૂઓએ હુમલો કરી સોનાની કડી, ચાંદી ચડાવેલું કડું, રોકડ રકમ, દાનપેટીની રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.૮૭,૦૦૦/- લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ મહંતશ્રીને ધક્કો મારી, લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને સીસીટીવી ડીવીઆર પણ લઇ નાસી ગયા હતા.
ટંકારાના મિતાણા ગામે ખોડીયાર મંદિર આશ્રમમાં છેલ્લા ૪૦ વર્ષથી મહંત તરીકે સેવાપુજા કરતા મહંતશ્રી રામચરણદાસજી નારણદાસજી ૩૦ જુલાઈની મોડી રાત્રે આશરે દોઢ-બે વાગ્યે પોતાના રૂમમાં સૂતા હતા. તે દરમિયાન બહાર છાપરાની ઉપર પથ્થર પડવાનો અવાજ અને ઓસરીના દરવાજો ખખડાવાનો અવાજ આવતા તેમણે દરવાજો ખોલતાં જ ત્રણ અજાણ્યા લોકો ઉભા હતા. અચાનક તેમને ધક્કો મારી પાડી દેવામાં આવ્યા અને મોઢા પર બે લાફા મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. આ સાથે લૂંટારૂઓએ તેમના કાનમાં પહેરેલી આશરે પોણા તોલાની સોનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ચાંદી ચડાવેલું ગેંડાનું કડું પડાવી લીધું હતું, તેમજ ખેતીના ખર્ચાના રૂ. ૩૫ હજાર રોકડા તથા મંદીરની દાનપેટી તોડી અંદરની આશરે રૂ.૫ હજારની રકમ લૂંટી લીધી હતી. આ સિવાય કબાટમાં પડેલા બે જુદી-જુદી કંપનીના મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦ હજાર તથા મંદિરમાં લગાવેલ સીસીટીવીનું DVR પણ લઇ નાસી ભાગી ગયા હતા.
આ હુમલામાં મહંતશ્રીનો ટચસ્ક્રીન મોબાઇલ પણ તોડી નાખવામાં આવ્યો હતો. લૂંટારૂઓએ આશ્રમ અને મંદીરના વિવિધ રૂમો તથા આજુબાજુના સ્થળની વસ્તુઓ વેરવીખેર કરી દીધી હતી. ઘટનામાં કુલ ૮૭ હજારની માલમત્તાની લૂંટ ચલાવી હતી. હાલ ટંકારા પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરાઈ છે.