મોરબીના શ્રી જલારામ ધામ ખાતે સ્વ. વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી તા. ૪-૧-૨૦૨૬ના રોજ વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધી યોજાયેલા ૫૧ કેમ્પમાં ૧૪,૪૦૩ દર્દીઓએ લાભ લીધો છે અને ૬,૫૪૩ વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.
મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર સ્થિત શ્રી જલારામ ધામ ખાતે સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિના ની ૪ તારીખે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ જ અનુસંધાને આગામી તા. ૪ જાન્યુઆરી ૨૦૨૬ રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ. વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી વિશેષ નેત્ર તપાસ અને ઓપરેશન કેમ્પ યોજાશે. કેમ્પ દરમિયાન શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના અનુભવી તબીબો ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે.
કેમ્પમાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના શ્રેષ્ઠ ગુણવત્તાના સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવાની સુવિધા, ચા-નાસ્તો, ચશ્મા, દવાઓ તથા આંખના ટીપાં સહિતની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી કોઈપણ પ્રકારનું બુકિંગ જરૂરી નથી, પરંતુ તપાસ માટે આવતા દર્દીઓએ આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) તથા અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા સંસ્થાએ અપીલ કરી છે.









