મોરબી સ્થિત નવયુગ નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓથ સેરેમની-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સેવા, કરુણા અને સમર્પણના પવિત્ર શપથ લઈને માનવસેવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મોરબીમાં આવેલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ નર્સિંગ કોલેજ ખાતે વર્ષ ૨૦૨૬ના નવા વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ સમારોહ ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્નથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GMERS મેડિકલ કોલેજના ડીન ડો. નીરજકુમાર બિસ્વાસ, એડિશનલ ડીન ડો. હિરેન સંઘાણી, જાણીતા બાળરોગ નિષ્ણાત અને સાહિત્યકાર ડો. સતીશ પટેલ, ડો. દીપક અઘારા, ડો. મહેન્દ્ર ફેફર અને ડો. ચિરાગ વડગાસિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, એડમિન હેડ શક્તિભાઈ જોશી અને પ્રિન્સિપાલ નિલેશ મિરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંબોધન આપ્યા હતા. ડો. સતીશ પટેલે સેવા અને કરુણાભાવને નર્સિંગ ક્ષેત્રનું મૂળ મંત્ર ગણાવ્યો હતો, જ્યારે ડો. નીરજકુમાર બિસ્વાસે માનવતા અને સંવેદનાનું મહત્વ સમજાવ્યું હતું. ડો. હિરેન સંઘાણીએ દર્દીઓ સાથે આત્મીયતા રાખવાની સલાહ આપી હતી અને ડો. મહેન્દ્ર ફેફરે વ્યાવસાયિક શિસ્ત અને પ્રેક્ટિકલ કૌશલ્ય પર ભાર મૂક્યો હતો. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયાએ વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક સેવા આપી ઉત્તમ કારકિર્દી બનાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે વિદ્યાર્થીઓએ ફ્લોરેન્સ નાઈટીંગેલના આદર્શોને અનુસરી લેમ્પ લાઈટિંગ વિધિ કરી અને ‘ઓથ સોંગ’ સાથે માનવસેવાના પવિત્ર શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન સ્તુતિ, ક્લાસિકલ નૃત્ય અને સંગીતની સુંદર રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક માહોલ પણ સર્જાયો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સ્ટાફ અને આયોજનકર્તાઓએ મહેનત કરી હતી. અંતે આભાર વિધિ અને ‘વંદે માતરમ’ના ગાન સાથે સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.









