મોરબીમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત સાથે ધાર્મિક માહોલ છવાયો હતો, ૧૫ થી વધુ શાળાના ફ્લોટ્સ સાથે સજ્જ વાહનો અને હજારો રામભક્તોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે રાત્રે દરબાર ગઢ ચોક ખાતે મહાઆરતી સાથે સમાપન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬ માર્ચ ૨૦૨૬ ના રોજ સર્કિટ હાઉસથી પ્રભુ શ્રીરામની દિવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. આ શોભાયાત્રામાં ૧૫થી વધુ શાળાઓના આકર્ષક ફ્લોટ્સ, બગી અને શણગારેલા વાહનો સાથે હજારો રામભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. બાળકો શિવ, રામ અને કૃષ્ણ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અગાઉ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈ મહારાણા પ્રતાપ સર્કલ, નવો પુલ, વી.સી. ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકિયા હનુમાન, શાક માર્કેટ, નેહરુ ગેટ થઈ દરબારગઢ પહોંચી હતી. ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર ૩૦થી વધુ સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને છેલ્લે રાત્રે ૧૨ વાગ્યે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી સાથે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મોરબી શહેર રામભક્તિમાં તરબોળ બની ગયુંF હતું.









