મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા DGTSના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જીએસટી સંબંધિત મુદ્દાઓ પર વિશેષ સેમિનાર યોજાયો હતો. જેમાં સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટ, ઈ-વે બિલ અને જીએસટી દર ઘટાડા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મોરબીમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે ભારત સરકારના ડાયરોક્ટરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસ(DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તથા પંકજકુમાર સહિતના જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે વિશેષ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ, ઈ-વે બિલ સંબંધિત પ્રશ્નો તેમજ જીએસટીના વિવિધ નિયમો અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉદ્યોગકારોના પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ માટે ખુલ્લી ચર્ચા યોજાઈ હતી.
કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા, મુકેશભાઈ કુંડારીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગકારોએ સિરામિક ટાઈલ્સ પરનો જીએસટી દર ૫% સુધી ઘટાડવા માટે પણ મજબૂત રજૂઆત કરી હતી. આ સેમિનાર ઉદ્યોગ અને સરકાર વચ્ચે સંવાદનું મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થયું છે, જેના કારણે જીએસટી નિયમોની વધુ સ્પષ્ટતા મળી અને ઉદ્યોગને ભવિષ્યમાં સરળતા સાથે કામગીરી કરવા માર્ગદર્શન મળ્યું છે.









