ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા હાલની પ્રવર્તમાન પરસ્થિતીને ધ્યાનમાં રાખીને દેશમાં રહેતા ગેરકાયદેસર ઘુસણખોરો અને તેમને મદદગારી કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપતા ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તે દિશામાં ઠોસ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિકારીઓને સર્વેલન્સ રાખવા સુચના આપતા એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એન.વાઘેલાને બાતમી મળી કે રાણા સરકાર ઉર્ફે મોહમંદ દિદારૂલ આલમ નામનો બાંગ્લાદેશી હાલ નારોલ, અમદાવાદ આતે રહે છે. અને તેના મકાનની નીચે વીઆઇપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવે છે. તેણે પોતાના ખોટા આઇ.ડી. પ્રુફ બનાવી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો છે. તેમજ આ રાણા સરકારે તથા રોબ્યુલ ઇસ્લામએ નારોલ મણીયાર પેટ્રોલ પંપ સામે આવેલ અલ કુરેશ એન્ટરપ્રાઇઝના સોએબ કુરેશી સાથે મળી અન્ય બાંગ્લાદેશીઓના તેમજ અન્ય ઇસમોના આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ ખોટા બનાવી તેઓના પાસપોર્ટ કઢાવી આપે છે. જે બાતમીનાં આધારે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક કે, સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વીરજીતસિંહ પરમારની આગેવાનીમાં ટીમ બનાવી હતી. જેમાં પોલીસ ઇન્સ્પેકટર વી.એન.વાઘેલા, વી.એન. ભરવાડ તેમજ મોરબી સબ ઇન્સ્પેક્ટર આર.આર ગરચર, પોલીસ વાયરલેસ સબ ઇન્સપેક્ટર એમ.પી. ઝાલા, પી.આર. વસાવા, જે.પી.વરમોરા વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જે પૈકી પોલીસ ઇન્સ્પેકટર વી.એન.વાઘેલા, વી.એન. ભરવાડ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર ગરચર તેમજ એ.ટી.એસ. ટીમ દ્વારા તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ રાણા સરકારની બાગે કૌસરમાં આવેલ વી.આઇ.પી. મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફરના બોર્ડવાળી દુકાનમાં તપાસ કરતા તેની દુકાનમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ વિગેરે મળી આવ્યા હતા. જેમાં આરોપી રાણા સરકારનું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, Government of the People’s Republic of Bangladesh National ID Card, ભારત સરકારનું ઇ શ્રમ કાર્ડ તેમજ બેંક ઓફ બરોડાની પાસબુક મળી આવી છે. તે ઉપરાંત રાણા સરકારે રોબ્યુલ ઇસ્લામ નામના માણસે લાવેલ ૧૩ થી ૧૪ જેટલા બાંગ્લાદેશી માણસોના બોગસ આઇ.ડી. પ્રુફ સોએબ મોહમદ પાસે બનાવડાવી તેઓના પાસપોર્ટ બનાવવા ઓનલાઈન અરજીઓ કરાવી પાસપોર્ટ બનાવડાવેલ હોવાની કબૂલાત આપી હતી. જે બાદ સોએબ કુરેશીના અલ કુરેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જઈ તપાસ કરતા તેની દુકાનમાંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની કુલ ૨૨ નકલો મળી આવી હતી. જે ઉપરાંત આરોપીના કમ્પ્યુટર તથા લેપટોપ માંથી ખોટા આધારકાર્ડ બનાવવા માટેના નકલી સર્ટીની ૩૦૦થી વધારે નકલો, પાનકાર્ડની બનાવટી નકલો, જન્મના દાખલાની બનાવટી નકલો તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં થતો હોય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત સોએબ કુરેશીએ રોબ્યુલ ઇસ્લામ અને રાણા સરકાર સાથે મળીને ૧૭ બાગ્લાદેશીના બોગસ ડોક્યુમેન્ટ આધારે પાસપોર્ટ કઢાવી આપ્યા હતા તેમજ બીજા ૯ બાગ્લાદેશીઓના પાસપોર્ટ માટે અરજીઓ કર્યાની કબૂલાત આપી હતી. જે આરોપીઓ પૈકી મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર મુળ ઉત્તર ગોવિંદપુર જિલ્લો કિશોરગંજ બાંગ્લાદેશનો નિવાસી છે જે વર્ષ ૨૦૧૨માં ખેતરના માર્ગે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને ભારતના દિનહાટામાં આવ્યો હતો. જ્યાથી તે શિલીગુડી -હાવડા- તમિલનાડુ- બેંગલોર-મુંબઈ થઈ ૨૦૧૫માં અમદાવાદ આવ્યું હતો. જ્યા તેણે ૨૦૧૭માં પાસપોર્ટ બનાવડાવી દુકાન ભાડે લઈ ૨૦૧૮માં આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. અન્ય આરોપી સોએબ મોહમદ કુરેશી મુળ નવલગઢ રાજસ્થાનનો નિવાસી છે તે વર્ષ ૨૦૧૫થી આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે અલ કુરેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવતો હતો. જેણે બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા પાસપોર્ટ માત્ર છેતરપિંડી નહિ પરંતુ તેનાથી વિશેષ તે આતંકવાદ, જાસુસી, દાણચોરી, ગેરકાયદેસર ઈમિગ્રેશન તેમજ અન્ય જોખમોમાં વધારો કરી શકે છે. જે ભારતની રાષ્ટ્રિય સુરક્ષા, સાર્વભૌમત્વ અને દેશના નાગરિકોની જાહેર સલામતી પર સીધી અસર કરે છે. જેને આધારે બન્ને આરોપીઓ મોહમંદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર (નારોલ, અમદાવાદ) અને સોએબ મોહમદ અબ્દુલહમીદ કુરેશી (નારોલ રોડ અમદાવાદ)વાળાની અટકાયત કરી છે. તેમજ અન્ય આરોપી રોબ્યુલ ઇસ્લામ હાલમાં સાઉથ કોરિયામાં છુપાયો છે. જેને આધારે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૪૦(૨) તથા પાસપોર્ટ એક્ટ કલમ ૧૨(૧)(ખ) તથા ૧૨(૨) તેમજ ધી ફોરેનર્સ એક્ટ ૧૯૪૬ ની કલમ ૧૪(એ)(બી) તથા ૧૪(સી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.