ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરતો પત્ર મોરબીના નિવૃત્ત શિક્ષિકાને લખ્યો છે. મોરબીના નિવૃત શિક્ષિકાની સેવાકીય પ્રવૃત્તિની નોંધ મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી છે. મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી.જે.પી કન્યા વિદ્યાલયમાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત થયેલા નીતાબેન પટેલ એક પગે દિવ્યાંગ હોવા છતાં નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિસિલ રહી શાળામાં નિયમિત રીતે લાઈબ્રેરેરિયન તરીકે નિઃશુલ્ક સેવા આપે છે. અને તેમને પ્રાપ્ત થતી પેન્શનની રકમમાંથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે.
મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી.જે.પી. કન્યા વિદ્યાલયમાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત્ત થયા બાદ પણ સેવાકીય પ્રવૃત્તિ કરનાર શિક્ષકને મુખ્યમંત્રીએ સારા કાર્ય બદલ પત્ર લખી બિરદાવ્યા છે. અનેક સમસ્યાઓનો સામનો કરી, કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શિક્ષિકા તરીકે પુરી નિષ્ઠા, લગન અને કુનેહપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયા પછી પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પોતાની પેંશનની ધનરાશીમાંથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
જેમ કે દિકરીઓનું હાઈજિન જળવાઈ રહે માટે દર મહિને 2000 જેટલી દિકરીઓને સેનેટરી પેડ અર્પણ, શાળામાં અભ્યાસ કરતી દિકરીઓનું બ્લડગ્રુપિંગ કરવા માટે આર્થિક યોગદાન, શાળામાં પુસ્તકાલયને સમૃદ્ધ કરવા પુસ્તકો ખરીદવા માટે આર્થિક યોગદાન, વાત્સલ્ય બાલાશ્રમ નિવાસ કરતા અનાથ બાળકો માટે બબે જોડી યુનિફોર્મ, દશ દશ વર્ષની પંદર દિકરીઓ માટે ફિકસ્ડ ડિપોઝીટ મૂકી એ દિકરીઓના લગ્ન સમયે રૂપિયા 51000/- એકાવન હજારનું પંદર દિકરીઓને કન્યાદાન અર્પણ, બે દિકરાઓ લગ્ન પ્રસંગમાં મામેરા, જરૂરિયાતમંદ દિકરીની છાત્રાલય અને વિદ્યાલયની ફી ભરવી, તેમજ ઉમા સંસ્કાર ધામની વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન અર્પણ કરી નિતાબેન જાણે સેવાકીય પ્રવૃત્તિનો પર્યાય બનેલ છે. પોતે દિવ્યાંગ હોવા છતાં જરૂરિયાત મંદોને તમામ રીતે મદદરૂપ થાય છે. આ તમામ સેવાકીય પ્રવૃત્તિની નોંધ વિશ્વ મહિલા દિન નિમિત્તે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ મોરબી જિલ્લા વહીવટી તંત્ર પાસેથી નિતાબેનની વિગતો મેળવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પત્ર લખી બિરદાવ્યા છે. તેમણે લખ્યું છે કે સેવકાર્યો થકી આપે મોરબીમાં સુવાસ પ્રસરાવી છે. તે જાણીને પ્રસન્નતા થઈ. માત્ર ‘સ્વ’ ને બદલે સમષ્ટિના વિચારની ભાવના આપણી સંસ્કૃતિમાં સમાવિષ્ટ છે. ‘ સેવા પરમો ધર્મ” આપણી પાવન પરંપરાનો મંત્ર રહ્યો છે. અન્યના દુઃખમો સહભાગી બનવાની પ્રવૃત્તિ આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે સાહિત્યકાર શ્રી સુંદરમની કાવ્ય કણીકા ‘હું માનવી માનવ થાઉં તો ઘણું. દ્વારા નીતાબેન પટેલની સેવાકીય કામગીરીને બિરડાવી છે. અને પ્રવૃત્તિમય નિવૃત્તિ જીવનને સેવકાર્યો થકી સાર્થક કરી આત્મસંતુષ્ટિ માણતા રહો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નિતાબેન પટેલની ઈચ્છાને માન આપી દરેક સેવકાર્યોના સાક્ષી અને એમની સેવાકીય પ્રવૃત્તિ મીડિયા સુધી પહોંચાડનાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ એમના વરદ હસ્તે મુખ્યમંત્રીનો પત્ર નિતાબેન પટેલને અર્પણ કર્યો હતો.