હળવદમાં આસ્થા રોડ ઉપર આવેલ જમીન ઉપર ખેતીને લગત કામ કરી રહેલ ખેડૂત દંપતીને વારસાગત જમીનના ચાલી રહેલ વિવાદનો ખાર રાખી કુટુંબી ત્રણ ભાઈઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરી, અપશબ્દો બોલી પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ ટાઉનમાં મોરબી દરવાજા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય ખેડૂત મનસુખભાઈ ગંગારામભાઈ સોનગ્રાએ હળવદ પોલીસ મથકમાં આરોપી મહેશભાઈ શામજીભાઈ સોનગ્રા, જયદીપભાઈ રતિલાલ સોનગ્રા તથા મેહુલભાઈ ઇશ્વરભાઈ સોનગ્રા ત્રણેય રહે.મોરબી દરવાજા કૃષ્ણનગર વિસ્તારમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગઈકાલ તા.૦૬/૦૭ના રોજ મનસુખભાઇ અને તેમના પત્ની હળવદ આસ્થા રોડ ઉપર દાવલીયું તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના કબ્જાની સર્વે નંબર-૧૪૨૬ પૈકી-૦૧ વાળા ખેતરે કામ કરતા હોય ત્યાં આરોપી મહેશભાઈ અને જયદીપભાઈ ઉપરોક્ત ખેતરમા પ્રવેશ કરી આવી ફરીયાદી મનસુખભાઇને કહેવા લાગ્યા કે, જે જમીનમા કામ કરો છો તે જમીન તમારી નથી અહીંથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે તેમ કહી મનસુખભાઇ સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી ગાળો આપેલ હતી. આ દરમિયાન આરોપી મેહુલભાઈ આવેલ તેઓ પણ મનસુખભાઇ તથા તેમના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી ગાળો આપવા લાગેલ, જેથી મનસુખભાઇ અને તેમના પત્ની ખેતરેથી નીકળી ઘર તરફ જતા હોય ત્યારે ત્રણેય આરોપીઓએ માનસુખભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.