મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રિતો માટે જનરલ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૫૧ આશ્રિતોની તબીબી તપાસ કરી જરૂરી દવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી શહેરમાં શહેરી ઘરવિહોણા લોકોને આશ્રય અને જરૂરી સુવિધાઓ પૂરું પાડવા માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ કાર્યરત છે. મહાનગરપાલિકાના સહયોગથી શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા આ આશ્રયગૃહનું સંચાલન કરવામાં આવે છે. તાજેતરમાં આશ્રયગૃહ ખાતે આરોગ્ય વિભાગ અને યુ.સી.ડી. શાખાના સંયુક્ત સહયોગથી જનરલ આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન આશ્રિતોની તબીબી તપાસ કરવામાં આવી, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી કરવામાં આવી તેમજ જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ દર ૧૫ દિવસે આવો આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં કુલ ૫૧ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓએ જહેમત ઉઠાવી હતી.









