શનાળા બાયપાસ અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ક્રિષ્ના લોકમેળાએ આઠમ અને નોમના દિવસે ભારે રંગત જમાવી : હજારો લોકોએ મેળાઓની મન ભરીને મોજ માણી
મોરબી : મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના લોકમેળાની આઠમ અને નોમના દિવસે ખરી રંગત જામી હતી અને શનાળા બાયપાસ અને પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં એમ બે જગ્યાએ યોજાયેલા ક્રિષ્ના લોકમેળામાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી પડી હતી.જન્માષ્ટમીના તહેવારોમાં હજારો લોકોએ મેળાઓની મન ભરીને મોજ માણી હતી. જન્માષ્ટમીના દિવસે તો મેળામાં પગ મુકવાની જગ્યા ન હોય તેવી ભીડ જામી હતી અને બન્ને મેળાઓમા જન્માષ્ટમીએ હજારો લોકોની આનંદ કિલ્લોલની નિર્દોષ ચિચિયારીઓથી વાતાવરણ એકદમ હર્ષોલ્લાસમય બની ગયું હતું.
મોરબીમાં સેવાકાર્યો માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરમાં અને નજીકના વિસ્તારમાં જન્માષ્ટમીના બે લોકમેળા યોજવામાં આવ્યા છે. જેમાં તમામ વર્ગ માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. સામાકાંઠા અને મોરબી શહેરના લોકોને અગવડતા ન પડે તે માટે મોરબીના શનાળા બાયપાસ પાસે અને સામાકાંઠા માટે સોઓરડી નજીક પરશુરામ પોટરીના ગાઉન્ડમાં ક્રિષ્ના લોકમેળા યોજાયા છે. યંગ ઇન્ડિયા ગ્રુપના બન્ને મેળામાં ફજેત ફાળકા, અવનવી રાઈડ્સ, ખાણીપીણી અને જાતભાતના રમકડાના સ્ટોલ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા અને ખાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળાઓમાં લેડીઝ અને જેન્ટ્સ સહિતના 200 બાઉન્સરોની ટિમ તૈનાત રાખવામાં આવી છે.
ક્રિષ્ના લોકમેળામાં મોકળું વાતાવરણ અને સુરક્ષા વધુ હોવાથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે તો મેળામાં ચિક્કાર મેદની ઉમટી પડી હતી અને આજે નોમના દિવસે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને મેળાની મનભરીને મોજ માણી હતી. પરશુરામ પોટરી ખાતેના મેળાનો આવતીકાલે રવિવારે અંતિમ દિવસ છે. જ્યારે બાયપાસ રોડ ઉપરનો મેળો હજુ 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હાલ લોકોમાં હજુ પણ મેળા માણવાનો જબરદસ્ત ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ બન્ને લોકમેળાનો લોકોને ભરપૂર આનંદ માણવા અપીલ કરી છે.