વાંકાનેર શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી કરવામાં આવેલી ઘરફોડ ચોરીના ગુનાનો વાંકાનેર સીટી પોલીસે ભેદ ઉકેલી લીધો છે. પોલીસે બે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. 10 જાન્યુઆરી 2026ની રાત્રે વાંકાનેર શહેરની અલગ-અલગ સોસાયટીઓમાં બંધ મકાનોના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. 0036/2026 (બી.એન.એસ. કલમ 305, 331(4)) મુજબ ગુનો નોંધાયો હતો. એક બનાવમાં અંદાજે રૂ.45,000 અને બીજા બનાવમાં રૂ.1,50,000ના દાગીના તથા રોકડની ચોરી થઈ હતી. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને ટાવર ડમ્પના આધારે વડોદરાથી આવેલા બે ઇસમો રાજાસિંહ સતનામસિંહ બાવરી, કુલદીપસિંહ બીરસિંહ ટાંક અને એક બાળકિશોરને પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોટરસાયકલ લઈને રાત્રે બંધ મકાનોના તાળા તોડી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સાત તોલા સોનાની લગડી અંદાજિત રૂ.1,00,000 અને રોકડા રૂ.20,000 સહિત કુલ રૂ.1,20,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસનાં જણાવ્યા મુજબ આરોપીઓ રાત્રિના સમયે સોસાયટીઓમાં મોટરસાયકલ પર ફરી બંધ મકાનોને નિશાન બનાવી લોખંડના સાધનો વડે તાળા તોડી ચોરી કરતા હતા. બંને મુખ્ય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.









