મોરબી શહેરમાં તંત્ર દ્વારા ત્રણ હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોરીચા વાસ અને વજેપર વિસ્તારમાં આવેલ તેમના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવી ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના હિસ્ટ્રીશીટર તરીકે ઓળખાતા ભરત ગોગરા ઉર્ફે બી.કે., જીગર ગોગરા અને કાસમ જિંદાણી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરી બોરીચા વાસ અને વજેપર વિસ્તારમાં આવેલ કુલ ચાર ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં અંદાજે રૂ. 65 લાખની કિંમતની કુલ 642 ચોરસ મીટર સરકારી જમીન ફરીથી ખુલ્લી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ માટે કડક સંદેશો ગયો છે.









