૧૦ દિવસ માટે લીધેલી રકમ ત્રણ ગણી પરત માંગી વેપારી સહિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી.
મોરબીમાં પણ મસાલાના વેપારીએ પોતાના ધંધામાં આર્થિક જરૂરિયાતને લઈને દસ દિવસ માટે એસન્ટ કાર ગીરવે રાખી રૂ.૫૦,૦૦૦/- ઊંચા વ્યાજે લીધા હતા. ૧૦ દિવસ બાદ વ્યાજ અને મુદલ પરત કરવા આવતા વેપારીને રૂ.૧.૫૦ લાખ ચૂકવી કાર પરત લઈ જવાનું કહી પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપનાર માથાભારે આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના શક્ત શનાળા જુના ગામમાં રહેતા અને બેલા ગામ પાસે પાન-મસાલાની દુકાન ચલાવતા અરવિંદભાઈ હરજીભાઈ પનારા ઉવ.૪૫એ માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા વ્યાજખોર ભરતભાઇ કાળુભાઇ ગોગરા રહે. મોરબી બોરીચા વાસ વાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, વર્ષ ૨૦૨૨માં ધંધાકીય જરૂરિયાતને કારણે તેમણે ૧૦ દિવસ માટે રૂ.૫૦ હજાર વ્યાજે લીધા હતા, આરોપી ભરત કાળુભાઈ ગોગરાએ ૩૦ ટકા વ્યાજની શરતે રકમ આપીને તેમની એસેન્ટ કાર રજી.નં. જીજે-૦૧-કેએન-૮૨૨૫ પોતાની પાસે રાખી હતી. ત્યારે દસ દિવસ બાદ ફરિયાદી અરવિંદભાઈ મૂળ રકમ પરત આપવા જતા આરોપીએ રૂ.૧.૫૦ લાખની માંગ કરી હતી. વેપારીએ આટલી મોટી રકમ અશક્ય હોવાનું કહી કાર પરત માંગતા આરોપીએ ગાળો બોલી ધમકીઓ આપી હતી. જે બાદ આરોપી અવારનવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને એક વખત ઘરે આવી પરિવારને પણ મારી નાખવાની ધમકી આપી હતી. હાલ એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ તથા ગુજરાત નાણાં ધીરધાર બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









