મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ વિસ્તારમાં ભરણ-પોષણના કેસનો ખાર રાખી પતિ અને તેના કુટુંબી ભાઈએ પરિણીતાના ઘરમાં ઘુસી જઈ ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરમાં ભરણ-પોષણના કેસને લઈને પારિવારીક વિવાદ ઉગ્ર બન્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભડીયાદ કાંટે માહી એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પોતાના પતિ રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયા અને આરોપી ચિરાગભાઈ અમૃતભાઈ સાગઠીયા રહે. બંને મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પતિ રાકેશભાઈ સાથેના મતભેદને કારણે પોતાના પિયરમાં રહે છે અને મોરબી કોર્ટમાં પતિ સામે ભરણ-પોષણનો કેસ દાખલ કર્યો છે. ત્યારે ગઈકાલ તા. ૭ માર્ચના રોજ સાંજના સમયે તેમના પતિ આરોપી રાકેશભાઈ તથા તેના કાકાનો દીકરો ચીરાગ તેમના ઘરે આવ્યા હતા. બંને દારૂ પીધેલી હાલતમાં હોય તેમ લાગતું હતું અને ગાળો આપી ફરિયાદી પુષ્પાબેનને ઢીકા-પાટુનો માર માર્યો હતો તેમજ નીચે પાડી દીધા હતા. દરમિયાન પરિવારજનો વચ્ચે પડતાં તેમને છોડાવ્યા હતા. આ પછી બંને આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









