વાંકાનેર સીટી પોલીસ, નગરપાલિકા અને મામલતદારની સંયુક્ત કાર્યવાહીમાં બે માથાભારે ઈસમો દ્વારા સરકારી જમીન ઉપર થયેલા અંદાજે ૧૦ લાખ રૂપિયાના બે અનધિકૃત બાંધકામો ડીમોલિશ કરવામાં આવ્યા હતા.
વાંકાનેર શહેરમાં માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ સામે પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધિક્ષક મુકેેશ કુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના બે માથાભારે ઇસમો દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલા અનધિકૃત બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. શરીરસબંધી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખ રહે. ચંદ્રપુર નાળા પાસે વાંકાનેર દ્વારા સરકારી જમીન ઉપર અંદાજે ૮૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. એ જ રીતે મિલકત સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ નવઘણ ભલુભાઈ વિકાની રહે. નવાપરા દેવીપૂજકવાસ પાસે વાંકાનેર વાળા દ્વારા સરકારી જમીન ઉપર અંદાજે ૮૦ ચોરસ ફૂટ વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કરાયું હતું. આ બંને દબાણોની અંદાજીત કિંમત રૂ.૧૦ લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર વાંકાનેર અને વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી









