મોરબીની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર જેલના રેન્જ આઈજી ગીરીશ પંડ્યાએ મોરબીમાં નિર્માણ પામનારી નવી જેલ અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવી જેલમાં કેદીઓને રોજગારી મળે તે માટે ઔદ્યોગિક વિભાગ શરૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર જેલના રેન્જ આઈજી ગીરીશ પંડ્યાએ મોરબી જેલની મુલાકાત લઈને જેલની વ્યવસ્થા અને કેદીઓને મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. રેન્જ આઈજી તરીકે નિમણૂક થયા બાદ આ તેમની પ્રથમ મોરબી મુલાકાત હોવાનું જણાવાયું છે. તેમણે જણાવ્યું હતું કે, મોરબી નજીક અમરેલી ગામ પાસે આગામી એકાદ વર્ષમાં નવી જેલનું નિર્માણ થવાનું છે. આ નવી જેલ માટેની મંજૂરી તેમજ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. નવી જેલમાં અન્ય જેલોની જેમ ઔદ્યોગિક વિભાગો કાર્યરત કરાશે જેથી કેદીઓને રોજગારી મળે અને તેઓના પુનર્વસન માટે સહાયરૂપ બને.
સુરક્ષા વ્યવસ્થાને લઈને તેમણે જણાવ્યું હતું કે, જેલના બહારના વિસ્તારમાં CCTV કેમેરા લગાવવામાં આવશે. ઉપરાંત કોર્ટમાં કેદીઓને રજૂ કરવા માટે વિડીયો કોન્ફરન્સની સુવિધાનો વધુ ઉપયોગ કરવામાં આવશે. હાલ મોરબી જેલમાં 50 ટકા કરતાં વધુ કેદીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જેને વધારીને 70 થી 80 ટકા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગીરીશ પંડ્યા પ્રભારી રેન્જ આઈજી હોવાના કારણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનમાં આવતી અરજીઓ અંગે માહિતી મેળવી અને અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.









