મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં અજાણ્યા ચોરે રાત્રિના સમયે તાળા તોડી માતાજીના ચાંદીના છતર, આભૂષણો તથા દાનપેટીની રોકડ મળી કુલ રૂ.૫૦ હજારની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે મંદિરના પૂજારી અને ટ્રસ્ટના પ્રમુખની ફરિયાદને આધારે તાલુમાં પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા ફરિયાદી કનુભા રઘુભા ઝાલા ઉવ.૭૦ જે શક્તિ માતાજી મંદિર તથા શિવાલય ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપે છે, તેમના જણાવ્યા મુજબ તા.૦૪ ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે નવ વાગ્યાથી બીજા દિવસે તા.૦૫ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યા દરમિયાન શક્તિ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બનેલ હતી. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ મંદિરના દરવાજાના તાળા નકુચા તોડી મંદિરમાં પ્રવેશ કરીને એક મોટું ચાંદીનું છતર આશરે ૫૦૦ ગ્રામ તથા નાના દસ ચાંદીના છતર મળીને કુલ આશરે ૭૫૦ ગ્રામ ચાંદીના આભૂષણો કિ.રૂ.૪૮ હજાર તેમજ દાનપેટીની અંદાજે રૂ.૨૦૦૦ રોકડ રકમ મળી કુલ રૂ.૫૦ હજારની માલમત્તાની ચોરી કરીને લઈ ગયા હતા. હાલ તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર સામે બી.એન.એસ. કલમ ૩૩૧(૪) અને ૩૦૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









