હળવદ નજીક ગૌરક્ષકો અને પોલીસ દ્વારા કતલખાને લઈ જવાતા 35 પશુઓને બચાવવામાં આવ્યા છે. તેમજ ઘટનામાં એક આરોપીને ઝડપી પાડી વાહન કબજે કરવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આજ રોજ વહેલી સવારે કચ્છ તરફથી માળિયા માર્ગે હળવદ થઈને અમદાવાદ તરફ એક આઇસર વાહનમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલ માટે લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળતા મોરબી, રાજકોટ, કચ્છ અને ધાંગધ્રા જિલ્લાના ગૌરક્ષકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના કાર્યકરો વોચમાં બેઠા હતા. આ દરમિયાન બાતમી મુજબનું GJ-15-YY-5757 નંબરની આઇસર માળિયા તરફથી પસાર થતાં ગૌરક્ષકો દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને હળવદ ચોકડી નજીક તેને રોકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાં નાના-મોટા મળી કુલ 35 પાડા ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. વાહનચાલકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પશુઓને અમદાવાદ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને તેની પાસે કોઈપણ પ્રકારની પરમિટ નહોતી. ત્યારબાદ ગૌરક્ષકોના સહયોગથી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડીને વાહન કબજે કરવામાં આવ્યું હતું. તેમજ તમામ પશુઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને સફળ બનાવવામાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, હિન્દુ યુવા વાહિની તેમજ રાજકોટ, કચ્છ, ધાંગધ્રા, લીંબડી, ચોટીલા અને હળવદના ગૌરક્ષકોનો મહત્વનો સહયોગ મળ્યો હતો.









