મોરબીના વજેપર સર્વે નંબર ૬૦૨ જમીન કૌભાંડમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી તરીકે નામ ખુલેલા પ્રેસ રિપોર્ટર અતુલ જોષીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવ્યા છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં વધુ એક આરોપી જામીન-મુક્ત થયા છે.
મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર ૬૦૨ની જમીન કૌભાંડ કેસમાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. ૧૫ માર્ચ ૨૦૨૫ના રોજ ગુનો રજીસ્ટર થયો હતો. જેમાં ફરિયાદી ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા શાંતાબેન મનજીભાઈ પરમાર સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન પત્રકાર અતુલકુમાર મુકુન્દરાય જોષીનું નામ પણ સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ આરોપીઓએ એકબીજા સાથે મળીને વજેપર ગામની સીમમાં આવેલ ફરિયાદીના પિતાની માલિકીની સર્વે નંબર ૬૦૨ની જમીન મામલે ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા. ફરિયાદીના માતા અને પિતાના ખોટા મરણ દાખલા બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ ખોટી વારસાઈ એન્ટ્રી કરીને વડીલોપાર્જિત જમીન અન્ય આરોપી સાગરભાઈ અંબારામભાઈ ફુલતરીયાને વેચાણ દસ્તાવેજ દ્વારા આપી દેવાઈ હતી. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કેસમાં અતુલ જોષી તરફે રોકાયેલ વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી તરફથી વકીલ વિરાટ જી. પોપટ, ભગીરથસિંહ વી. ડોડીયા અને જીતેન્દ્રસિંહ આર. જાડેજાએ રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સંબંધિત ચુકાદાઓ રજૂ કરીને દલીલો રજૂ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે દલીલોને ધ્યાનમાં લઈ અતુલકુમાર મુકુન્દરાય જોષીના રેગ્યુલર જામીન મંજુર કર્યા હતા.









