વિનામૂલ્યે એન્ટ્રી સાથે આજથી લોકમેળાનો પ્રારંભ,દરરોજની દેશભક્તિને અનુરૂપ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે : અનાથ આશ્રમના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલોને પણ મેળાનો આનંદ આપવા સહિતના સેવાકાર્યો કરાશે
મોરબી : મોરબીવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો વિનામૂલ્યે એન્ટ્રી સાથે ભવ્ય ગ્રાઉન્ડમાં તમામ વ્યવસ્થા સાથે મોકળા મને જન્માષ્ટમીનો મેળો માણી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપી તમામ વર્ગના લોકો હળીમળીને મેળાની મનભરીને મોજ લૂંટી શકે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ બાયપાસ રોડ પર જૂના અને જાણીતાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આજે સર્વધર્મની બાળાઓના હસ્તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
મોરબીવાસીઓ માટે સકારાત્મક લોક ઉપયોગી કાર્યો કરવા માટે હરહંમેશ તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે મોરબીના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામા જૂના અને જાણીતા ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આજે મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન મોરબીવાસીઓ પૂરતી સુરક્ષા સાથે આ લોકમેળાને મનભરીને માણી શકશે.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તમામ લોકો વિનામૂલ્યે મેળાનો આનંદ માણી શકે તે માટે વર્ષ 2009થી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. મેળામાં રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહિતના અનેક આકર્ષણો છે. આ લોકમેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે. દરરોજ અહીં દેશભક્તિને અનુરૂપ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આનાથ આશ્રમના બાળકો, વૃદ્ધાશ્રમના વડીલો તેમજ ઝૂંપટપટ્ટીના બાળકો સહિતના લોકોને મેળામાં લાવી મોજ કરાવવા સહિતના સેવાકાર્યો કરવામાં આવશે.