મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી બંધ લુકાસો સીરામીક ફેક્ટરીમાં રાત્રે સલામતી વગર કેંચી-એન્ગલ કાપવાનું કામ કરાવતા મજૂર ૨૫ ફૂટ ઊંચાઈથી નીચે પડતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને માર્ગ અકસ્માત બતાવવાનો પ્રયાસ કર્યાના આક્ષેપ સાથે મૃતક મજૂરના સાળાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બે ફેક્ટરી માલીક સહિત પાંચ આરોપીઓ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદી વિજયભાઈ લાલજીભાઈ ઇંદરીયા રહે. વીશીપરા મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી જયદીપભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ગોપાલભાઈ ત્રણેય રહે.રાજકોટ તથા જીતેન્દ્રભાઈ રંગપરીયા અને અંબારામભાઈ રંગપરીયા બંને લુકાસો સીરામીક ફેક્ટરીના માલીક રહે. મોરબી વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના બનેવી વિક્રમભાઈ પરષોતમભાઈ પાટડીયા રહે.મોરબી વીસીપરા વાળા, જે વેલ્ડિંગ કામ કરે છે. તેમને ગત તા.૧૧/૦૨/૨૦૨૬ની રાત્રે રંગપર ગામની સીમમાં આવેલી બંધ લુકાસો સીરામીક પ્રા. લિ. ફેક્ટરી ખાતે એન્ગલ કાપવાના કામે લઈ જવાયા હતા. જ્યાં ઉપરોક્ત પાંચેય આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી રાત્રિના અંધારામાં ૨૫ ફૂટ ઊંચાઈ પર ગેસ વેલ્ડિંગ દ્વારા કોઈપણ સલામતી સાધનો વગર કામ કરાવતા વિક્રમભાઈ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
ત્યારે સમગ્ર ઘટનાને રીક્ષા અકસ્માત તરીકે દર્શાવી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ડોક્ટરે વિક્રમભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પરિવારજનોને શરૂઆતમાં ખોટી હકીકત જણાવાઈ હતી. હાલ સમગ્ર બનાવ અંગેની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૬૧(૨), અને ૨૧૨ મુજબ પાંચેય આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









