મોરબી: ત્રાજપર ચોકડી નજીક એક અત્યંત દુઃખદ અકસ્માતની ઘટનામાં પેસેન્જર રીક્ષા સાથે માલવાહક રીક્ષા સાઈડમાં અથડાતા પેસેન્જર રીક્ષામાં બેઠેલા પરપ્રાંતિય શ્રમિક પિતાનો હાથ કપાયો હતો જ્યારે પિતાના હાથમાં રહેલ ૨ વર્ષનો પુત્ર રીક્ષા બહાર ફંગોળાતા તેને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે બંને પિતા-પુત્રને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં ત્રણ દિવસની ટૂંકી સારવારમાં માસુમ બાળકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર માલવાહક રિક્ષાનો ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.હાલ બી ડિવિઝન પોલીસે મૃતક બાળકની માતાની ફરિયાદને આધારે આરોપી માલવાહક રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે સોલારીસ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બલીયા જીલ્લાના પચામા ગામના વતની નેહાબેન પિન્ટુભાઈ બરનવાલે મોરબી બી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે કે તા. ૨૩/૦૬/૨૦૨૫ના રોજ પોતાની તબીયત ખરાબ હોવાથી પતિ અને બે પુત્રો સાથે પેસેન્જર રીક્ષા રજી. નં. જીજે-૩૬-ડબલ્યુ-૦૬૭૩ માં મોરબી આવી રહ્યા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર, પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલી સફેદ રંગની રીક્ષા નં.જીજે-૩૬-યુ-૫૧૧૪ના ચાલકે પોતાની રીક્ષા બેદરકારીથી ચલાવી, પેસેન્જર રીક્ષાને સાઈડમાંથી ટક્કર મારતા, તેમના પતિ પિન્ટુભાઈના જમણા હાથ સાથે ટક્કર વાગતા, તેમબ પતિનો જમણો હાથ કોણીથી કપાઈ ગયો હતો અને નાનો પુત્ર આયુષ રસ્તા પર ફેંકાઈ જતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ તાત્કાલિક પતિ અને પુત્રને મોરબીની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાંથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી માલવાહક રિક્ષાનો ચાલક પોતાની રીક્ષા લઈને નાસી ગયો હતો, હાલ બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે