૪૦૦ બેગ યુરિયા, બે વાહન સહિત રૂ. ૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે, ચાર આરોપી સામે ગુનો દાખલ.
હળવદ પોલીસે સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને બદલે ઉદ્યોગોમાં ગેરકાયદે વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ધ્રાંગધ્રા હાઇવે પરથી આઇશર ટ્રક અને પાયલોટિંગ કરતી કાર સાથે ૪૦૦ બેગ યુરિયા ખાતર ઝડપાયું હતું. ત્યારે પોલીસ તપાસમાં ખાતર સહકારી મંડળીના મંત્રી દ્વારા ઉંચા ભાવે વેચાણ કર્યાનું ખુલ્યું છે. ખાતર ઔદ્યોગિક ઉપયોગ માટે મંગાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે પોલીસે તપાસના અંતે ચાર આરોપીઓ રાસાયણિક ખાતર નિયંત્રણ અધિનિયમ, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયન હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે પૂર્વ બાતમીને આધારે ગત તા. તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર કોયબા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી, સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની ગેરકાયદે હેરાફેરી ઝડપી પાડી હતી. બાતમીના આધારે પોલીસે આઇશર ટ્રક રજી.નં. જીજે-૩૬-વી-૫૭૧૬ અને તેની આગળ પાયલોટિંગ કરતી સ્વીફ્ટ ડીઝાયર કાર રજી.નં. જીજે-૧૨-એકે-૦૪૩૫ અટકાવી તપાસ કરી હતી. ત્યારે આઇસરમાંથી IFFCO કંપનીની ૪૦૦ બેગ યુરિયા ખાતર કિ.રૂ.૮,૦૦,૪૫૬/- મળી આવી હતી, આરોપીઓ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોય જેથી સમગ્ર જથ્થો શંકાસ્પદ જણાતા કબ્જે લેવામાં આવ્યો હતો. આ સાથે ટ્રક અને કાર મળી કુલ રૂ.૧૫,૦૦,૪૫૬/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
ઉપરોક્ત રાસાયણિક ખાતરના જથ્થાની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્યું કે ભેચડાં (ધ્રાંગધ્રા) ગામના સેવા સહકારી મંડળીના મંત્રી આરોપી રવિરાજસિંહ પ્રવિણસિંહ ઝાલાએ ખેડુતો માટે સરકાર દ્વારા સબસીડીયુક્ત ખાતર આરોપી કરશનભાઈ શેલાભાઈ દોરાલાને ઉંચા ભાવે વેચ્યું હતું. આ ખાતર મોરબીના બેલા અને ભડીયાદ ગામના જયદીપભાઈ ઘાટોડીયા અને જયસુખભાઈ અગ્રાવત દ્વારા ઔદ્યોગિક ઉપયોગ માટે મંગાવવામાં આવ્યું હતું. જ્યારે ખેતી અધિકારી દ્વારા લીધેલા નમૂનાઓ લેબોરેટરીમાં તપાસતા તમામ બેગોમાં ૪૬% નાઇટ્રોજન અને નીમ કોટિંગ હોવાની પુષ્ટિ થઈ, જે ખાતર માત્ર ખેતી ઉપયોગ માટે જ મંજૂર હોવાનું સાબિત થયું હતું. આથી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ આરોપી રવિરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉવ.૩૫, રહે. ગામ ભેચડા તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર, કરશનભાઈ શેલાભાઈ દોરાલા ઉવ.૨૭, રહે. ગામ રાણેકપર તા. હળવદ જી. મોરબી, જયદીપભાઈ છગનભાઈ ઘાટોડીયા ઉવ.૨૭, રહે. ગામ બેલા રંગપર તા.જી.મોરબી, જયસુખભાઈ ગોપાલદાસ અગ્રાવત ઉવ.૪૫ રહેવાસી ગામ ભડિયાદ તા.જી.મોરબી વાળા ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા ખાતર નિયંત્રણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









